ભરૂચ
પીએમ શ્રીકૃષ્ણ આશ્રમશાળા થવા ખાતે તાલુકા કક્ષાએથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ માટે આરોગ્ય તપાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. ભાવિકાએ વિદ્યાર્થીઓને શારીરિક સ્વચ્છતા અને સ્વાસ્થ્યની કાળજી કેવી રીતે રાખવી તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે સિકલસેલ, રક્તપિત્ત, ચામડીના રોગો, બહેરાશ અને બોલવામાં થતી તકલીફ જેવી બાબતો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને જરૂરી નિદાન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કિશોરીઓને તેમના શરીરની વિશેષ કાળજી અને સમસ્યાઓના નિવારણ વિશે પણ સમજાવવામાં આવ્યું હતું. ચોમાસા અને શિયાળામાં સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે રાખવું તે અંગે પણ વિદ્યાર્થીઓને ઉત્તમ માર્ગદર્શન મળ્યું. આ શિબિરમાં ડૉ. ભાવિકા, ડૉ. પ્રિતેશ, મેડિકલ સ્ટાફ જયમતિબેન અને ફાર્માસિસ્ટ રૂકમણીબેન ઉપસ્થિત રહ્યા હતા. ટીમે શાળાના તમામ બાળકોનું મેડિકલ ચેકઅપ કર્યું હતું અને તેમને આરોગ્યલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ આરોગ્ય શિબિર શાળાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હતી.
