ભરૂચના હિતેશનગરમાં નિવૃત્ત શખ્સના ઘરમાં 3.83 લાખનો હાથફેરો
ભરૂચ.
ભરૂચ શહેરના હિતેશ નગર ખાતે રહેતાં અને નિવૃત્ત જીવન જીવતાં અનિલ અંબાલાલ ગાંધીના પુત્ર અને વહું વડોદરા ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતાં. ત્યાં જ મકાન રાખીને રહેતાં હતાં. દરમિયાનમાં વડોદરા ખાતે તેમના પુત્ર અને વહુએ ગણપતિની સ્થાપના કરી હોઇ તેઓ તેમના ઘરે વડોદરા ગયાં હતાં. તેમણે ઘરને તાળું મારી ચાવી તેમના ઘરની સામે રહેતાં તેમના સંબંધીને ત્યાં રાખી હતી. તેમજ કામવાળી આવે તો તેને આપજો તેમ જણાવ્યું હતું. તેઓના સવારે 7 વાગ્યાના અરસામાં ગયાં બાદ બપોરે બે વાગ્યે તેમને ફોન આવ્યો હતો કે, ઘરના આગળના દરવાજાનો નકુચો તુટેલી હાલતમાં છે. અને ઘરના દરવાજા ખુલ્લા હોઇ ચોરી થયાનું લાગે છે. જેથી તેઓ તુરંત ઘરે પરત આવતાં અને ઘરમાં જઇ જોતાં ઘરની તિજોરીના દરવાજા ખુલ્લા હોવા સાથે તમામ સામાન વેરવિખેર પડેલો જણાયો હત. તપાસ કરતાં તેમના ઘરમાંથી રોકડા 40 હજાર તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ 3.83 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ ચોરી થયાનું જણાયું હતું. તેમણે તુરંત પોલીસને જાણ કરતાં પોલીસ કાફલાએ દોડી આવી તસ્કરોના પગેરૂ મેળવવાના પ્રયાસ કર્યાં હતાં. બનાવને પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
