ડેરીની ૧૫ બેઠક પૈકી ઘનશ્યામ પટેલની પેનલના ૧૦, અરૂણસિંહની પેનલના ૨, અપક્ષના ૩ જીત્યા
ભરૂચ.
ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં છેલ્લાં એક સપ્તાહથી ભારે ચર્ચામાં રહેલી દૂધધારા ડેરીની ચૂંટણીનું પરિણામ શનિવારે જાહેર થયું હતું. ડેરીની ૧૫ બેઠકો પૈકીની એક બેઠક બિનહરીફ હોવાથી ૧૪ બેઠકો પર મતદાન થયું હતું. ત્યારે જાહેર થયેલાં પરિણામમાં ધનશ્યામ પટેલે અરૂણસિંહ રણાને ક્લિન સ્વિપ મારી હોવાના સ્પષ્ટ થયું હતું. ડેરીની ૧૫ બેઠક પૈકી ઘનશ્યામ પટેલની પેનલના ૧૦, અરૂણસિંહની પેનલના ૨. અપક્ષના ૩ જીત્યા હતાં.
ભરૂચ નર્મદા જિલ્લાની દૂધધારા ડેરીની ચૂંટણી ભાજપના જ બે દિગ્ગજોની પેનલો વચ્ચે જંગ ખેલાયો હતો. ભાજપના મોવડી મંડળે મધ્યસ્થીપણું કરી મેન્ડેડ થકી ૧૫ ઉમેદવારો જાહેર કરવા છતાં અરૂણસિંહે બળવો કરતાં પહેલીવાર દૂધધારા ડેરીની ચૂંટણી ચર્ચામાં આવી હતી. સાથે સાથે સહકારી ક્ષેત્રની અન્ય ચૂંટણીઓ તરફ પર વોકોનું ધ્યાન ખેંચાયું છે. શનિવારે ૯ વાગ્યેથી ગણતરીની પક્રિયા શરૂ થઈ ગઈ હતી. જેમાં પહેલેથી લઈને અંત સુધી જેમજેમ મતદાનના આંકડા જાહેર થાય તેમ તેમ ઘનશ્યામ પટેલના સમર્થકોનો જોમ વધતો જોવા મળ્યો હતો.
મતગણતરીના અંતે જાહેર કરાયેલાં પરીણામ મુજબ ધનશ્યામ પટેલની પેનલના ૧૦ ઉમેદવારોએ જીત મેળવી ચેરમેન પદની દાવેદારી નક્કી કરી લીધી છે. બીજી તરફ બળવાખોર અરૂણસિંહ રણાની પેનલમાં ભાજપના મેન્ડેડ વાળા પ્રકાશ દેસાઈ બિનહરીફ જીત્યા હોઈ તે અને એક એસટી અનામતની બેઠક કે જયા ગણ ત્રણ દાવેદાર હતાં ત્યાં તેમનો ઉમેદવાર જીત્યો હતો. જ્યારે અપક્ષમાંથી ૩ ઉમેદવારો જીત્યાં હતાં.
મહત્વકાંક્ષી વ્યક્તિએ અમારા સાથીઓને ગેરમાર્ગે દોરવ્યાં હતાં ભરૂચ દૂધધારાની ચૂંટણીની ૧૧ બેઠકની ચૂંટણીમાં અમારી જે જીત થઈ છે તે ભાજપની જીત છે અને અમારી ડેરીના તમામ પશુપાલક મિત્રો અને ખાતેદારો તથા સભાસદોના વિશ્વાસની જીત છે. મેન્ડેડની ભૂમિકા રહી છે. સાથે સાથે મતદારો સાથેનો વર્ષોના સંબંધો સહિતના પાસાઓનો પણ પ્રભાવ હતો. અસ્તિત્વનો પ્રશ્ન હતો નહી, પરંતુ કેટલાંક મહત્વકાંક્ષી લોકોએ અમારા સાથીઓને ગેરદોરવણી કરી છે. - ધનશ્યામ પટેલ, ચેરમેન, દૂધધારા ભરૂચ
મારા કોન્ફિડન્સમાં કોઈ ફેર પડ્યો નથી સાંસદ મનસુખ વસાવાએ જે કહ્યું હતું કે, જે રૂપિયા ખર્ચો કરે તે જીતશે. ત્યારે ધનશ્યામ પટેલ માત્ર બે મતથી તેમની બેઠક પર જીત્યાં છે. અને અન્ય કેટલીંક સીટો પર પણ બે-ત્રણ મતનો જ ફેર છે. એટલે હું જીતેલો જ છું. પશુપાલકો મારી સાથે હ્રદયથી રહ્યાં છે, આજે મારી જે સીટો બે-ત્રણ મતથી જ હાર્યા હોય તો તેના પર આત્મશોધ કરીને આગામી દિવસોમાં પણ અમે લડત આપીશું જ. અરૂણસિંહ રણા, ધારાસભ્ય, વાગરા.
વહીવટી તંત્રના કૂનેહથી ચૂંટણી શાંતીમય રીતે પૂર્ણ ચૂંટણીની જાહેરાતથી માંડી મત ગણતરી સુધી વહિવટી તંત્રની કામગીરી પણ સરાહનિય રહી હતી. ભાજપના જ બે માધાંતાઓ વચ્ચેની જંગને લઈને વિહવટી તંત્રની પરીક્ષા લેવાઈ હતી. દૂધધારા ડેરીની ચૂંટણીની જાહેરાત કરવા સાથે, મતદાનના ઝોન પાડવાના હોય કે ચૂંટણીની આચારસંહિતા સહિત મતદાન અને મતગણતરી સુધીની કામગીરી નિષ્પક્ષ અને ન્યાયિક રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી વિભાગે વિહવટી કૂનેહતા વાપરીને સમગ્ર ચૂંટણી પાર પાડી હતી.
મહેશ વસાવાના ૩ અપક્ષ સાથી જીત્યા, જાતે હાર્યા દૂધધારા ડેરીની ચૂંટણીમા મહેશ વસાવાએ પણ જાતે એક બેઠક પર અને અન્ય ત્રણ સાથીઓને અપક્ષમાં ચૂંટણી જંગમાં ઉતયાં હતાં. તેમના ત્રણેય અપક્ષ ઉમેદવારો જીતી ગયાં હતાં. જોકે, એસટી અનામતની બેઠક માટેની ચૂંટણીમાં તેમની સામે અરૂણસિંહ રણાનો ઉમેદવાર અને ભાજપના મેન્ડેડના કારણે ધનશ્યામ પટેલનો ઉમેદવાર પણ ઉતયાં હતાં. જેના પગલે ભાજપના જ બે નેતાઓના ઉમેદવારો વચ્ચે મતો વેચાઈ જતાં મહેશ વસાવાના મત ઘટતા તેમની હાર થઈ હતી.
અરૂણસિંહના એક બિનહરીફ સહિત માત્ર બે જ ઉમેદવારો જીત્યા ભાજપના મેન્ડેડ સામે બળવો કરીને અરૂણસિંહ રણાએ પોતાની પેનલ ઉતારી હતી. ધનશ્યામથી છેડો ફાડીને જીતેશ પટેલ આણી પાર્ટી અરૂણસિંહની પાટલી પર બેસી ગયાં હતાં. બીજી તરફ ધનશ્યામ પટેલ સામે આક્ષેપો કરવા સાથે તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતાં. ભાજપના મેન્ડેડના કારણે પ્રકાશ દેસાઈ ઉમલા બેઠક પર બિનહરીફ જીત્યા હતાં. જોકે, ચૂંટણીમાં માત્ર એસટી અનામત સીટ પર તેમની એક ઉમેદવાર જીતી હતી. જોકે, તેમાં પણ મતદારો ત્રણભાગમાં વેચાતા તે જીત્યાં હોવાનું મનાય છે.
વાગરામાં ૩૫ વર્ષથી જીતતા ઉમેદવારને હરાવ્યો દૂધધારા ડેરીમાં ૩૫ વર્ષથી ડિરેક્ટર બનતાં હેમંતસિંહ રાજે ધનશ્યામ સામે બળવો કરી અરૂણસિંહની છત્રછાયામાં જતાં રહેતાં ઘનશ્યામ પટેલે સંજયકુમાર રાજને પહેલવાર ઉમેદાવરી સોંપી હતી. ત્યારે ચૂંટણીમાં બન્ને ઉમેદવારોને ૧૩-૧૩ મત મળતા ટાઈ પડી હતી જેના પગલે સંલગ્ન અધિકારીઓએ બહારથી ખ્રિયા નામની એક બાળકીને લાવી તેના હસ્તે ચિઠ્ઠી ઉપાડી હતી. જેમાં સંજયસિંહ રાજનો વિજય થયો હતો.
Advertisement
