ભરૂચ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ખેડૂતો સમૃદ્ધ બને, તેમની આવક બમણી થાય તે માટે વિવિધ યોજનાકીય પરિવર્તન લાવી રહ્યા છે. હવે ખેડૂતની આવક બમણી નહીં પણ ત્રણ ઘણી થઈ શકે તેના માટે મૂલ્યવર્ધક પ્રાકૃતિક ખેતીએ ખેડૂતોમાં નવી આશા જગાવી છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતનો તાત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છે. જેનાં પરિણામે આ પદ્ધતિ સાથે સંકળાયેલા ખેડૂતો આજે લગભગ નજીવા ખર્ચે સારી એવી ખેત પેદાશ મેળવી રહ્યા છે. આજે વાત કરીએ, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામના રાજ્ય કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર્સનો એવોર્ડ મેળવનાર યુવા ખેડૂત પંકજ પટેલની, કે જેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા ત્રિગુણી આવક મેળવી રહ્યા છે. તેઓ પોતાની સફર વિષે જણાવે છે કે, છેલ્લા સાત વર્ષથી ખેતરમાં સફળતા પૂર્વક પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. હાલ જંગલ ફાર્મિંગથી એકસાથે બાગાયતમાં વિવિધ ફળપાક, વિવિધ પ્રકારની શાકભાજી, કઠોળ, ફુલ, વગેરેનું આંતરપાક (ઈન્ટરક્રોપ ) લઈ સિઝન પ્રમાણે દર મહિને નજીવા ખર્ચથી મબલક ઉત્પાદન અને આવક મેળવી રહ્યા છે. સાથે જ પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી જરૂરી સંસાધનો BRC વિતરણ યુનિટ વિકસાવી વધારાની આવક મેળવી રહ્યા છે.
કેન્દ્રીય આત્મા એવોર્ડ સમિતિ દ્નારા રાજ્ય કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર્સનો એવોર્ડ ૨૦૨૩-૨૪ થી ભરૂચ જિલ્લાના ભોરભાઠા ગામના પંકજ પટેલને સન્માનિત કરાયા છે. આ પ્રકારનો એવોર્ડ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રોમાં નવીનતા લાવનાર, ઉત્પાદન વધારનાર અને બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બનનાર ખેડૂતોને આ એવોર્ડ આપવામાં આવે છે. ગુજરાત સરકારના આત્મા વિભાગ દ્નારા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામના આત્મા ખેડૂતશ્રી પંકજ પટેલ રૂા. ૫૦,૦૦૦ હજારની રકમ અને સન્માનપત્ર તેમને એનાયત કરવામાં આવ્યો હતો. પ્રાકૃતિક ખેતી વિષે સાંભળ્યું અને ઝાડેશ્વર આત્માની શિબિરમાં ભાગ લીધો. જેમાંથી હું પ્રાકૃતિક ખેતી શિક્ષણના પાઠ ભણ્યો. એમાં પણ વળી જિલ્લાના કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ આત્મા વિભાગના પ્રોજેક્ટ ડાયરેક્ટર એ. આઈ.પઠાણ પણ વારંવાર પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોની મુલાકાત લેતા રહે છે. તેમના વિચારો થકી પણ તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હોવાનું જણાવતા ઉમેરે છે કે, જિલ્લાના વડા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા પણ જ્યારે ખેડૂતો વચ્ચે જઈ પ્રાકૃતિક કૃષિ કરવા પ્રોત્સાહિત કરતા હોય ત્યારે ખેડૂતોનો ઉત્સાહ અને વિશ્વાસ બંને આપોઆપ વધી જાય છે.
