લોક પ્રતિનિધિત્વ અધિનિયમ – ૧૯૫૧ ની કલમ ૨૯ એ મુજબ ભારતીય ટ્રાયબલ પાર્ટીને કારણદર્શક નોટીસ
ભારતીય ટ્રાયબલ પાર્ટીને ઓડિટ હિસાબો અને ચૂંટણી ખર્ચના હિસાબો સમયસર જમા ન કરાવવા બદલ જિલ્લા કલેક્ટરનું તેડું: ૧૪ ઓક્ટોબરે રૂબરૂ હાજર રહેવા આદેશ
ભરૂચ –
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ – ૧૯૫૧ ની કલમ ૨૯ એ મુજબ” ભારતીય ટ્રાયબલ પાર્ટી” નામથી રાજકીય પક્ષ તરીકે નોંધણી કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્યના તા.૨૪/૦૯/૨૦૨૫ ના પત્રમાં જણાવ્યા મુજબ ECI દ્વારા ભારતીય ટ્રાયબલ પાર્ટીએ છેલ્લા ૩(ત્રણ) નાણાંકીય વર્ષ (૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩, અને ૨૦૨૩-૨૪) ના ઓડીટ હિસાબો સમયમર્યાદામાં (તા.૩૦-૧૧-૨૦૨૨, તા.૩૧-૧૨-૨૦૨૩ અને તા.૧૫-૧૨-૨૦૨૪) સુધીમાં મોકલેલ ન હોવાની નોંધ લેવામાં આવેલ છે. વધુમાં ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા ચૂંટણીમાં ભાગ લીધેલ છે પરંતુ તે સંદર્ભે ખર્ચના હિસાબો સમયમર્યાદામાં (વિધાનસભા ચૂંટણીના ૭૫ દિવસ સુધીમાં તથા લોકસભા ચૂંટણીના ૯૦ દિવસ સુધીમાં) મોકલેલ નથી. ઉક્ત બાબતે ભારતીય ટ્રાયબલ પાર્ટીના પક્ષે જો કોઈ ખુલાસો કે રજુઆત કરવી હોય તો સંલગ્ન તમામ દસ્તાવેજો સહિત તા.૧૪/૧૦/૨૦૨૫ ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે કલેક્ટર સમક્ષ રૂબરૂ હાજર થવાનું રહેશે.
જો ઉક્ત તારીખે બિન માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષ ” ભારતીય ટ્રાયબલ પાર્ટી” તરફથી કોઇ હાજર નહી રહે કે લેખિત ખુલાસો/પ્રત્યુત્તર નહીં મળે, તો આ બાબતે કંઇ કહેવાનું નથી એમ સમજીને ભારતના ચૂંટણી પંચને યોગ્ય આદેશો પસાર કરવા અને જરૂરી કાર્યવાહી કરવા ભલામણ કરવામાં આવશે, જેની ગંભીર નોંધ ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા લેવામાં આવે તેમ જિલ્લા કલેક્ટર તરફથી મળેલી અખબારી યાદીમાં જણાવ્યું હતું.
