વેપારીઓને સંવત ૨૦૮૨ ના વર્ષમાં ગ્રાહકોનો સંતોષ અને સાથે ધંધામાં બરકત મળે તેવી આશા અને અપેક્ષા
ભરૂચ
તા.26-10-2025 ના લાભપાંચમના દિવસે દિપાવલી પર્વના તહેવારો પૂર્ણ થાય છે. દિપાવલી પર્વના પર્વ બાદ સાલ મુબારકના દિવસથી વેપારીઓએ પોતાની દુકાનો અને ધંધા રોજગાર બંધ કર્યા હતા. હવે આજથી એટલે કે લાભપાંચમના દિવસે સારૂ મુર્હુત જોઈ વેપારીઓ અને ધંધા રોજગાર કરનાર તમામ નવા વર્ષ એટલે કે સંવત ૨૦૮૨ ના વેપારની અને ધંધા રોજગારની શરૂઆત કરશે. જોકે, લાભ પાંચમ રવિવારના દિવસે આવતી હોવાને કારણે કેટલાંક વેપારીઓ મૂહુર્ત માટે દુકાન ખોલશે તેમ જાણવા મળ્યું છે.
ભરૂચ જિલ્લામાં આર્થિક પરિસ્થિતિના પ્રત્યાઘાત આ વખતની દિપાવલી પર્વમાં જણાયા હતાં વેપારી સુત્રોના જણાવ્યા અનુસાર વિતેલા વરસો કરતા આ વરસે દિપાવલી પર્વમાં ધરાકી સામાન્ય જણાય હતી. જોકે, અંતિમ દિવસોમાં ભરૂચ જિલ્લાના વિવિધ નગરોની સાથે સાથે નાના મોટા ગામોમાં પણ વેપાર-ધંધામાં સારી એવી બરકત રહી હતી. આવા સમયે હવે આજથી વેપાર-ધંધા માટે શરૂ થતા નવા વર્ષ માટે વેપારીઓ એકબાજુ ગ્રાહકોને સંતોષ તો બીજીબાજુ વેપાર ધંધામાં બરકત આવે તેવી આશા અને અપેક્ષા રાખી રહ્યા છે.
લાભ પાંચમને જ્ઞાન પંચમી તરીકે ઉજવવામાં આવતા પવિત્ર દિને કોઇપણ શુભકાર્યોની શરુઆત માટે મુર્હત જોવાની જરૂર રહેતી નથી. ખાસ કરીને આજના દિવસ માટે વેપાર ધંધા માટે સુકનવંતો દિન ગણવામાં આવતા હોવાથી વેપારી વર્ગ પોતાના ધંધાકીય એકમો ઉપર પુજા પાઠ કરશે. જ્ઞાન પંચમી હોવાથી વિદ્યાર્થી વર્ગ પણ સરસ્વતી દેવીની ઉપાસના કરશે.
બેસતાવર્ષના દિવસે મુહૂર્ત પુજા કર્યાં બાદથી ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવેલી દુકાનોના શટરો પડી ગયાં હતાં. દીવાળીના તહેવારોને કારણે નુતનવર્ષ બાદથી માર્ગો અને બજારો સુમસાન ભાસી રહયાં છે. લાભપાંચમના શુભ દિનથી વેપારીવર્ગ તેમના ધંધારોજગારની શરૂઆત કરશે. માતાજીની પૂજા સાથે વેપારીઓ તેમની દુકાનો ફરીથી ખોલશે. બંને જિલ્લાઓમાં આવતીકાલથી બજારો પુન: ધમધમતા થશે અને ચહલપહલમાં વધારો થશે.
