કમોસમી વરસાદને કારણે કાદવ-કિચડ થતાં સ્થિતી સુરક્ષિત ન હોવાની તંત્રની કેફિયત
ભરૂચ
ભરૂચ જિલ્લાના નર્મદા કિનારે આવેલાં અનેક તીર્થસ્થળોએ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. ત્યારે શુક્લતીર્થ ખાતે દેવઉઠી અગિયારસથી દેવદિવાળી સુધીના પાંચ દિવસનો ભવ્યથી ભવ્ય મેળો યોજવામાં આવતો હોય છે.જોકે, આ વખતે મેળામાં ચકડોળ સહિતની રાઈડ્સ ન હોવાને કારણે મેળામાં રંગત ન હોવાનું ભાવિકભક્તોએ જણાવ્યું હતું. વહિવટી તંત્ર દ્વારા મેળા વિસ્તારમાં સર્જાયેલાં કાદવ-કિચડના કારણે ત્યાં ચકડોળ કે અન્ય રાઈડ્સ ઉભી કરી શકાય તેમ ન હોવાને કારણે પરમીશન આપી ન હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
ભરૂચ જિલ્લામાં શુક્લતીર્થ ખાતે દેવઉઠી અગિયારસથી દેવદિવાળી સુધી પાંચ દિવસનો ઐતિહાસીક મેળો યોજાતો હોય છે. જોકે, આ વર્ષે ૨ નવેમ્બરથી ૯ નવેમ્બર સુધી મેળો ચાલુ રાખવાની વિચારણા કરાઈ હતી. ત્યારે મેળામાં ચકડોળ સહિતની રાઈડ્સ ચાલુ કરવાની પરમીશન માટે સંચાલકોએ આવેદન કર્યું હતુ. જોકે, દેવદિવાળીના આગલા દિવસે મેળાને લઈને કમિટી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. કમિટીના મુખ્ય એવા આરએન્ડબીના એસ. આર. પટેલ, એસડીએમ મનીષા માનાની તેમજ જીઈબીના અધિકારીઓ, ફાયર વિભાગની ટીમ, જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ કાર્યપાલક ઈજનેર સહિતના અધિકારીઓએ સ્થળ વિઝીટ કરી હતી. જેમાં પણ ટીમે જણાવ્યું હતું કે, મેળા વિસ્તારમાં ભારે કાદવ-કિચડ છે. ચકડોળ સહિતની રાઈડ્સ જે પ્લેટફોર્મ પર બનાવવામાં આવે છે. તેને નીચે લાકડાના ચોકઠાંઓનો આધાર આપવામાં આવે છે. ત્યારે હાલમાં થયેલાં કાદવ-કિચડના કારણે તે ચોકઠાંઓ સરકી જાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ ન હોવાથી તેમણે ચકડોળ સહિતની રાઈડ્સને હાલપુરતી કોઈ પરમીશન આપી ન હતી. વહિવટી તંત્ર દ્વારા લેવાયેલાં નિર્ણય અને ચકડોળ સંચાલકોની તકલીફોને લઈને પ્રકરણની વિગતો મેળવવા માટે આર. એન્ડ. બી.ના અધિકારી એસ. આર પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે, તેમનો મોબાઈલ સ્વિચ ઓફ આવ્યો હતો. નોંધવુ રહ્યું કે, તેમણે ચાર્જ સંભાળ્યા બાદથી સરકારી નંબર સતત સ્વિચ ઓફ આવી રહ્યો છે.
