સરકાર દ્વારા જાહેર કરાયેલા સંમતી એવોર્ડ લેવા સોમવારથી ખેડૂતોની કતાર
અંદાજે ૫ હજાર જેટલાં ખેડૂતોને સંમતિ એવોર્ડનો લાભ મળી શકશે
। ભરૂચ ।
ભરૂચ જિલ્લાના ભાડભૂત બેરેજ યોજનામાં સંપાદિત થતી જમીનના માલિકોને સરકાર દ્વારા સંમતી એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અંકલેશ્વર તાલુકાના ૬ ગામોની ૮૧૯ હેક્ટર જમીનના સંપાદન માટે બજાર કિંમત કરતાં પણ વધુનો સંમતિ એવોર્ડ મંજૂર કરવામાં આવતાં અસરગ્રસ્ત ખેડૂતોએ તેને વધાવી ગઈ સંમતી એવોર્ડ લેવા માટે સંમત થયાં છે.
ભરૂચ જિલ્લામાં ચાલી રહેલાં પીએમ મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ભાડભૂત બેરેજ યોજના આકાર લઈ રહી છે. ત્યારે છેલ્લાં ચારેક વર્ષ અંકલેશ્વર તાલુકાના ૬ ગામો બોરભાઠા, બોરભાઠા બેટ, સક્કરપોર, સરફુદ્દીન, તરીયા તેમજ ધંતુરિયા સહિતના ગામના ખેડૂતો યોગ્ય વળતરની માંગ સાથે લડત આપી રહ્યાં હતાં.. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત તેમની ટીમ તેમજ સંબંધિત અધિકારીઓ દ્વારા ખેડૂતોને મળવાપાત્ર વળતરને લઈને ખાસ ચર્ચા વિચારણા કરી હતી. જેના અને ખેડૂત હિતમાં અંકલેશ્વર તાલુકાના ૬ ગામની સંપાદિત થનારી કુલ ૮૧૯ હેક્ટર જમીન માટે બજાર કિંમત કરતાં વધુનો સંમતી એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે.
સોમવારે કલેક્ટર કચેરી ખાતે ખેડૂત આગેવાનો તેમજ અસરગ્રસ્ત ખેડૂતો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતાં. અને જમીન સંપાદન કચેરીએ પહોંચી સંમતી એવોર્ડ માટે સંમતી આપવા માટે આવ્યાં હતાં. જ્યાં તેમણે સંમતી એવોર્ડની તમામ પ્રક્રિયા જાણી હતી. બીજી તરફ ખેડૂત આગેવાનોએ સરકાર દ્વારા જાહેર કરાયેલાં સંમતી એવોડને લઈને આભાર વ્યકત કર્યો હતો. સીએમ ભુપેન્દ્ર પટેલ, મંત્રી ઈશ્વર પટેલ, સાંસદ મનસુખ વસાવા, મારૂતીસિંહ અટોદરિયા, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને પાર્થ જયસ્વાલનો આભાર વ્યકત કર્યો હતો.
