ભરૂચ.
કેથલિક ચર્ચ અન્ડ એન્ટોન શાળા ટ્રસ્ટ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, અખુટ પ્રેમ, અપાર આનંદ અને ભાઇચારાનું પર્વ એવા નાતાલની ઉજવણી અને પ્રભુ ઇસુની વધામણાંના ભાગરૂપે તેમજ પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે આરોગ્ય માતા દેવાલય (કેથોલિક ચર્ચ) દ્વારા એક ભક્તિ સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું .આ ભક્તિ સરઘસ રવિવારે સવારના 9:30 વાગ્યે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ( આરોગ્ય માતા દેવાલય)થી પગપાળા નિકળી પાંચબત્તી સર્કલથી શાલીમાર ત્રણ રસ્તા, સ્ટેશન રોડ થઇ સ્ટેશન સર્કલથી પરત આજ રૂટ પરથી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ( આરોગ્ય માતા દેવાલય) ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું.યાત્રામાં ચર્ચના બાળકો અને યુવાનોએ વિવિધ વેશ ધારણ કરીને ઈસુના જન્મ સમયનું દ્રશ્ય પ્રદર્શિત કર્યું હતું. આ ધાર્મિક યાત્રામાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આનાથી સમગ્ર શહેર અને જિલ્લામાં ભાઈચારા તથા શાંતિનો સંદેશ પ્રસરી ગયો હતો.
