આજરોજ મહર્ષિ ભૃગુઋષિ ની તપોભૂમિ ભરૂચ ખાતે ઉત્તરપ્રદેશ નાં બલિયા જિલ્લા નાં સાંસદ શ્રી સનાતન પાંડેજી નું પાવન આગમન થયું હતું.
ઉત્તરપ્રદેશ નો છેવાડા નો જિલ્લો બલિયા તેના રાષ્ટ્રપ્રેમ તેમજ બાગી તેવર માટે સમગ્ર દેશ માં જાણીતો છે. આઝાદીની લડાઈ માં ૧૮૫૭ નાં વિપ્લવ નાં પ્રથમ શહીદ મંગલ પાંડે પણ બલિયા જિલ્લા નાં માટી નાં લાલ હતા. ૧૯૪૨ નાં હિન્દ છોડો આંદોલન સમયે ભારત માં બલિયા સહીત ત્રણ જિલ્લાએ અંગ્રેજી શાસન ને ઉખાડી ફેંકી પોતાનું સામ્રાજ્ય થોડા દિવસો માટે ચલાવ્યું હતું. બલિયા ખાતે માં ગંગા નાં પાવન કિનારે મહર્ષિ ભૃગુ નું ભવ્ય મંદિર આવેલું છે તથા સમગ્ર ભારત માં બલિયા ભૃગુ નગરી તરીકે ઓળખાય છે. શાસ્ત્રો અને ઉપનિષદો નાં આધારે એવું કહેવાય છે કે મહર્ષિ ભૃગુ નાં પુત્ર ચ્યવન ઋષિ નાં વિવાહ ભરૂચ ખાતે થયા હતા તેમજ જીવન નાં પાછલા સમય માં મહર્ષિ ભૃગુ એ માં નર્મદા નાં પાવન કિનારે કઠોર તપસ્યા કરી હતી જેના કારણે આ ભૂમિ નું નામ ભૃગુ કચ્છ પડયુ હતું જે હાલ માં ભરૂચ તરીકે ઓળખાય છે.
બલિયા નાં સાંસદ શ્રી સનાતન પાંડેજી એ બલિયા નાં ભૃગુ મંદિરે થી આશીર્વાદ લઈ ભૃગુ તીર્થ ખાતે પોતાની યાત્રા નો પ્રારંભ કર્યો હતો અને ભરૂચ આવ્યા બાદ ભૃગુ ઋષિ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યાર બાદ ઝાડેશ્વર સર્કીટ હાઉસ ખાતે તેમનાં ટૂંકા રોકાણ દરમ્યાન તેમણે ઉત્તર ભારતીય સમાજ નાં ભરૂચ નાં આગેવાન ડો. જીતેન્દ્ર રાજપૂત નાં અધ્યક્ષ સ્થાને ભરૂચ ખાતે નાં ઉત્તર ભારતીય સમાજ નાં બીજા આગેવાનો સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યાર બાદ પ્રેસ કોન્ફરન્સ ને સંબોધતા તેમણે ભરૂચ થી બલિયા માટે ની આધ્યાત્મ યાત્રા માટે મહર્ષિ ભૃગુ એક્સપ્રેસ ટ્રેન દોડાવવા માટે રેલમંત્રી ને રજુવાત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર પ્રોગ્રામ દરમ્યાન ભરૂચ તેમજ અંકલેશ્વર માં વસતા બલિયા તેમજ પૂર્વાંચલ ના આગેવાનો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
