ભરૂચ શહેરની મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ એજ્યુકેશન સોસાયટી સંચાલિત બી ઈ એસ યુનિયન દ્વારા બે દિવસીય ‘જ્ઞાન ગંગોત્રી’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 3 અને 4 દરમિયાન યોજાયેલા આ વિશિષ્ટ મહોત્સવમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, પુસ્તક મેળો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ જેવા બહુઆયામી પ્રકલ્પો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દુષ્યંત પટેલ, પૂર્વ આચાર્ય વાસંતીબેન દીવાન, પૂર્વ શિક્ષક સનતભાઈ રાણા, અગ્રણી અને પૂર્વ વિદ્યાર્થી નરેશભાઈ ઠક્કર સહિત માધ્યમિક વિભાગના આચાર્ય વિજયસિંહ સિંધા અને પ્રાથમિક વિભાગના આચાર્ય ધવલ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પૂર્વ શિક્ષકો અને શુભેચ્છકોએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
વિશેષ રૂપે, રોટરી ક્લબના સહયોગથી યોજાયેલા મેડિકલ કેમ્પનો અનેક લોકોએ લાભ લીધો હતો. ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાના 114 જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓએ પોતાની મૌલિક સૂઝબૂઝથી તૈયાર કરેલી અંદાજે 50 જેટલી કૃતિઓ રજૂ કરી પોતાની વૈજ્ઞાનિક પ્રતિભાનો પરિચય આપ્યો હતો. જ્ઞાન અને સ્વાસ્થ્યના આ અનોખા સંગમ સમો કાર્યક્રમ સમગ્ર પંથકમાં પ્રશંસા પામ્યો છે.
