ભારતના યુવા પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે ૧૨ જાન્યુઆરીએ યુવા દિવસ ઉજવવામાં આવે છે. આ અવસરને અનુલક્ષીને ભરૂચની ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં તા. ૧૦ થી ૧૩ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન સ્વામી વિવેકાનંદજીના પુસ્તકોનું વિશેષ પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું છે.
પ્રદર્શનમાં સ્વામીજીના જીવનદર્શન, પત્રો, ભાષણો, લેખો તથા સંવાદસંગ્રહ જેવા અમૂલ્ય ગ્રંથો રજૂ કરવામાં આવ્યા છે. ૧૮૯૩માં અમેરિકાની ધર્મપરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર યુવાન સ્વામી – જેમનું મૂળ નામ નરેન્દ્ર હતું – તેમણે “માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ” શબ્દોથી પ્રવચનની શરૂઆત કરી સમગ્ર વિશ્વના દિલ જીતી લીધા હતા. તેમની પ્રેરણાદાયી ઉક્તિ “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો” આજે પણ યુવાનોને જીવનમાં મજબૂત અને નિષ્ઠાવાન બનવા પ્રેરણા આપે છે.
આ પ્રદર્શનનો મુખ્ય હેતુ નવી પેઢીના બાળકો અને યુવાનોને ભારતના મહાન સંતો તથા મહાન પુરુષોના જીવનચારિત્ર્ય, સંઘર્ષગાથા અને સફળતાનીગાથાથી પરિચિત કરાવવાનો છે. બાળકો માત્ર વાંચશે નહીં પરંતુ અનુભવશે કે આપણા મહાન પુરુષોના જીવનમાં કેટલો સંઘર્ષ, ત્યાગ અને સફળતા રહેલી છે.
ચોકસી પબ્લિક લાયબ્રેરી તરફથી સૌ ભરૂચવાસીઓને આ પુસ્તક પ્રદર્શનની મુલાકાત લેવા તથા પોતાના બાળકો અને સ્વજનોને સાથે લાવી આ પ્રેરણાદાયી અવસરનો લાભ લેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.
