ભરૂચમાં આજે ભારત મુક્તિ મોરચા, બહુજન ક્રાંતિ મોરચા તથા રાષ્ટ્રીય પીછડા વર્ગ મોરચા દ્વારા BAMCEF અને ભારત મુક્તિ મોરચાના રાષ્ટ્રીય અધિવેશનને છેલ્લી ઘડીએ મંજૂરી રદ કરવાના નિર્ણય સામે કડક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સંગઠનોના પ્રતિનિધિઓએ રાષ્ટ્રપતિને સંબોધીને ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું.
કટક (ઓડિશા) ખાતે યોજાનાર BAMCEF અને ભારત મુક્તિ મોરચાના રાષ્ટ્રીય અધિવેશન માટે તમામ કાનૂની પરવાનગીઓ અગાઉથી મેળવવામાં આવી હોવા છતાં વહીવટીતંત્ર દ્વારા અચાનક પરવાનગી રદ કરાઈ હોવાનું સંગઠનોનું કહેવું છે. આ નિર્ણયને RSS–BJPનું ષડયંત્ર ગણાવી સંગઠનોએ દેશવ્યાપી તબક્કાવાર આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે.
આ અધિવેશન OBC સમાજની જાતિ આધારિત વસ્તી ગણતરી જેવા મહત્વના મુદ્દાને કેન્દ્રમાં રાખીને આયોજિત થવાનું હતું. સંગઠનોનું કહેવું છે કે પરવાનગી રદ કરવાથી બંધારણની કલમ 14, 19 અને 21 હેઠળના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું છે તેમજ OBC, SC-ST અને આદિવાસી સમાજના અવાજને દબાવવાનો પ્રયાસ થયો છે. સાથે જ અધિવેશન રદ થવાને કારણે હજારો પ્રતિનિધિઓને આર્થિક નુકસાન પણ ભોગવવું પડ્યું હોવાનું આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ મામલે આગામી કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરવામાં આવી છે, જેમાં 7 જાન્યુઆરીએ દેશના 725 જિલ્લાઓમાં આવેદનપત્ર પાઠવવામાં આવશે, 15 જાન્યુઆરીએ જિલ્લા મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શન, 22 જાન્યુઆરીએ રેલી અને 22 ફેબ્રુઆરીએ નાગપુર સ્થિત RSS મુખ્યાલય સામે વિશાળ રેલી યોજવાની જાહેરાત કરાઈ છે. સંગઠનોએ અધિવેશનની પરવાનગી પુનઃસ્થાપિત કરવી, થયેલા નુકસાનની ભરપાઈ કરવી અને OBC જાતિ ગણતરી મુદ્દે સ્વતંત્ર તપાસ કરવાની માંગ પણ કરી છે.
આ પ્રસંગે ભારતીય યુવા મોરચા ભરૂચ જિલ્લા અધ્યક્ષ લંકેશ મયાત્રા, BAMCEFના પૂર્ણકાલીન પ્રચારક નરેશ ગોહિલ તથા પરેશ મહેતા ઉપરાંત ભારત મુક્તિ મોરચાના આગેવાનો અરવિંદ પરમાર, ઈશ્વર વાઘેલા, નટુ પરમાર અને રમેશ પરમાર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
