અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં બી.એલ.ઓ.દ્વારા ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી મતદારયાદી સુધારણા પ્રક્રિયા એસઆઈઆર દરમિયાન ગંભીર અનિયમિતતાઓ થયાની ફરિયાદ સાથે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા ચાલી રહેલી ચૂંટણીસંબંધિત પ્રક્રિયામાં કેટલાક બીએલઓ દ્વારા ચોક્કસ વર્ગ અને સમાજના મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ફોર્મ નં. ૬ અને ફોર્મ નં. ૭ની કાર્યવાહી દરમિયાન બીએલઓ-૨ની સહીથી કેટલાક ફોર્મ પ્રાંત અધિકારીની કચેરીમાં જમા કરાવવામાં આવ્યા છે. જોકે, કોંગ્રેસને મળેલ ચોક્કસ માહિતી મુજબ સંબંધિત બીએલઓ-૨ના ઓડિયો ક્લિપમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ ફોર્મ પર તેમની દ્વારા સહી કરવામાં આવી નથી.કોંગ્રેસે આ બાબતને અત્યંત સંવેદનશીલ ગણાવી તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કાયદેસર કાર્યવાહી તથા પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે. સાથે જ જમા કરાયેલા તમામ ફોર્મની યાદી તાત્કાલિક આપવા માંગ કરવામાં આવી છે. જો માંગ નહીં સંતોષાય તો પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય દ્વારા કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
