ભરૂચ.
ભરૂચ તાલુકાના સામલોદ ગામનો એક યુવાન ત્રણ માસ અગાઉ શુકલતીર્થના મેળામાં ફરવા ગયા બાદ ઘરે પરત ફર્યો ન હતો. તે યુવાન રાકેશ સોલંકીનો સડેલી (ડિકમ્પોઝ) હાલતમાં મૃતદેહ ભરૂચ તાલુકાના કવીઠા અને દભાલી ગામ વચ્ચે આવેલી કેનાલમાંથી મળતાં વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ નબીપુર પોલીસ તાત્કાલિક રાત્રિના સમયે ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહ અત્યંત ડિકમ્પોઝ હાલતમાં હોવાથી પોલીસ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચીને કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢી પીએમ (પોસ્ટમોર્ટમ) માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
યુવાન ત્રણ માસથી ગુમ હોવાનું સામે આવતાં આ બનાવે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. નબીપુર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને મોતના કારણો જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
