વડદલા ગામના ખેતરમાં બનેલી ઘટનાએ વિસ્તારમાં તણાવનો માહોલ સર્જ્યો
ભરૂચ
ભરૂચની ન્યાયમંદિર હોટલના માલિક પર ભરવાડ સમાજના કેટલાક ઇસમોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ મકતમપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ખેતરમાં ઘુસેલા પશુઓનો પુરાવો મેળવવા માટે વિડિયો ઉતારતા સમયે આ ઘટના બની હતી, જેનાથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ભરૂચમાં આવેલી ન્યાયમંદિર હોટલના સંચાલક ધર્મસિંહ રાજપૂત વડદલા ગામે આવેલ પોતાના ખેતરમાં મુલાકાત લેવા ગયા હતા. ત્યાં પહોંચતાં જ તેમને પોતાની જમીનમાં ગાયો, ભેંસો અને બકરાં ઘુસેલા જોવા મળ્યા હતા. જમીનમાં થયેલી ઘુસણખોરીનો પુરાવો મેળવવા માટે તેમણે મોબાઇલમાં વિડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું. આ સમયે હિતેશ ભરવાડ સ્થળ પર આવી વિડિયો ઉતારવા બાબતે વાંધો ઉઠાવી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ધવલ ભરવાડે ખેતર માલિકને પકડી રાખી તેમનો મોબાઇલ ફોન ઝૂંટવી લીધો હોવાનો આરોપ છે. બંને ઇસમોએ મળીને ધર્મસિંહ રાજપૂત પર હુમલો કરી તેમને ઇજા પહોંચાડી હતી. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા ધર્મસિંહ રાજપૂતને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે આ સમગ્ર ઘટના ખેતર માલિકના પોતાના જ ખેતરમાં બની હતી. આ મામલે સી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ધર્મસિંહ રાજપૂતે અગાઉ પણ ત્રણથી ચાર વખત તેમના પર હુમલાની ઘટના બની હોવાનો આક્ષેપ કર્યો છે અને પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી છે.
