નશા મુક્ત ભારતના સંકલ્પ સાથે સમગ્ર દેશભરમાં જાગૃતિ ફેલાવવા નીકળેલી બિહારના નવ યુવાન સાયક્લિસ્ટોની ટીમ ભરૂચ જિલ્લામાં આવી પહોંચી હતી. ભરૂચ આગમન સમયે જિલ્લાના સાયક્લિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ દ્વારા બિહારના સાયક્લિસ્ટોનું ઉષ્માભર્યું સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, બિહારના ક્રિષ્ના કુમાર યાદવ અને રવિ રંજન કુમાર યાદવ 20 જાન્યુઆરી 2025ના રોજ બિહારથી સાયકલ યાત્રાની શરૂઆત કરી હતી. નશા મુક્ત ભારતનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી શરૂ કરાયેલી આ યાત્રામાં તેઓ કુલ 9 રાજ્યોમાંથી પસાર થઈ અંદાજે 12,500 કિલોમીટરનું અંતર સાઈકલ દ્વારા પૂર્ણ કરવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે. આ યાત્રાના ભાગરૂપે તેઓ ભરૂચ જિલ્લામાં પહોંચતા અહીં એક ઔપચારિક મુલાકાત પણ યોજાઈ હતી.
આ મુલાકાત દરમિયાન જાણ કરવામાં આવી હતી કે ક્રિષ્ના કુમાર યાદવ વિદ્યાર્થી છે, જ્યારે રવિ રંજન કુમાર યાદવ વર્ષ 2019થી 2022 સુધી સતત ત્રણ વર્ષ બિહાર સ્ટેટ કરાટે ચેમ્પિયન રહી ચૂક્યા છે. બંને યુવાનોનું કહેવું છે કે આજની યુવા પેઢીને વ્યસનથી દૂર રાખી સાયક્લિંગ, રનિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ તરફ પ્રોત્સાહિત કરવી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપવી એ જ આ યાત્રાનો મુખ્ય હેતુ છે.
સાયક્લિસ્ટોએ વધુમાં જણાવ્યું કે ગુજરાતથી આગળ વધતી આ યાત્રા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળ સહિતના રાજ્યોમાંથી પસાર થઈ 2027 સુધીમાં પૂર્ણ કરવાનો તેમનો લક્ષ્ય છે.
આ અવસરે ભરૂચ જિલ્લાના સાયક્લિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસે બિહારના યુવાન સાયક્લિસ્ટોને અભિનંદન પાઠવી તેમની નશા મુક્ત ભારત સાયકલ યાત્રા સલામત અને સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
