આમોદ શહેરના સહેરના મધ્યમાં આવેલ ટાવર પાછળના મારુવાસ વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ પાકું મકાન આમોદ નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી દ્વારા તોડી પાડ્યું હતું. આ કાર્યવાહી દરમ્યાન મકાન માલિકને માત્ર બે કલાકનો સમય આપવામાં આવ્યો હતો.
નગરપાલિકા તરફથી જણાવવામાં આવ્યું કે સીટી સર્વે નંબર ૩૫૯૧ પર આવેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્ષોથી અહીં વસવાટ કરતા અલ્તાફ સિદ્દી બાદશાહના મકાનનું ડિમોલિશન થતાં શહેરમાં ભારે ચર્ચા અને ચકચાર સર્જાઈ હતી.
મારુવાસ વિસ્તારમાં હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નગરપાલિકા અધિકારીઓ અને સીટી સર્વે વિભાગની હાજરીમાં બુલડોઝર ચલાવી દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
આ બાબતે નગરપાલિકાના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે દબાણકારને છ માસ અગાઉ નોટિસ આપવામાં આવી હતી તેમજ વારંવાર મકાન ખાલી કરવા સૂચના અપાઈ હતી. આ સ્થળે ટૂંક સમયમાં નાના તળાવના બ્યૂટીફિકેશન સહિતના વિકાસ કામો હાથ ધરવાના હોવાથી સરકારી જમીન ખાલી કરાવવાની કાર્યવાહી કરાઈ છે. તેમણે કડક શબ્દોમાં સ્પષ્ટ કર્યું હતું કે સરકારી જમીન ઉપરના કોઈપણ પ્રકારના ગેરકાયદેસર દબાણોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.
નગરપાલિકાની આ કડક કાર્યવાહીના પગલે શહેરમાં એક તરફ ગેરકાયદેસર દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે, તો બીજી તરફ વર્ષોથી વસવાટ કરતા પરિવારોના પુનર્વસન અને માનવતા અંગેની ચર્ચા પણ શહેરમાં ઉઠવા લાગી છે. આમોદમાં આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર દબાણો સામે વધુ કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આમોદમાં નગરપાલિકાની કડક કાર્યવાહી : ગેરકાયદેસર દબાણ જેસીબી દ્વારા તોડી પાડ્યું
Advertisement
