છેલ્લા એક વર્ષથી ખોદેલાં ખાડાઓને કારણે વાહન ચાલકો પરેશાન
ધૂળના કારણે વાહન ચાલકો સહિત આસપાસના રહીશોના હાલ બેહાલ
ભરૂચ.
ભરૂચ શહેરના શ્રવણ ચોકડીથી ગેલ કોલોની તરફ જવાનો માર્ગ બનાવવાની કામગીરી છેલ્લાં એક વર્ષથી ચાલી રહી છે. જોકે, મદગતિએ ચાલતી કામગીરીમાં કોન્ટ્રાક્ટરે આ રોડને ખોદી નાંખતાં આખો રસ્તો ખાડા-ટેકરાવાળો થઈ ગયો છે. જેના કારણે માર્ગ પરથી વાહનો પસાર થવાને કારણે ધૂળની ડમરીઓ ઉડતી હોય છે. આ માર્ગ પર આવેલી સોસાયટીઓમાં રહેતાં લોકોને રોજ આવા ખાડા-ટેકરાવાળા ધુળિયા રસ્તા પરથી પસાર થવું પડતું હોવાને કારણે કેટલાંય રહિશોને ઉડતી ધૂળના કારણે શ્વાસની તકલીફ સહિત અન્ય રોગો થયાનો રોષ તેમણે વ્યક્ત કર્યો છે.

ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, માર્ગ પરથી પસાર થતાં દ્વિચક્રીય વાહન ચાલકોને તેમનું વાહન સ્વીપ થઈ જવાની ભિતી સેવાતી હોય છે.જોકે, ભુતકાળમાં કેટલાંક દ્વિચક્રીય વાહન ચાલકો પટકાયાં પણ છે. બીજી તરફ કેટલીકવાર નાના બાળકો મોપેડ-સાયકલ લઈને નજીકમાં કોઈ સામગ્રી લેવા કે શાળા-ટ્યુશને જતાં હોય છે ત્યારે જ્યા સુધી તેઓ ઘરે પરત ન આવે ત્યાં સુધી પરિવારજનોના જીવ ટાળવે ચોટેલાં રહે છે. ખાડા-ટેકરાવાળા રસ્તાને કારણે વાહન ચાલકોની કમર તૂટી રહી હોવાનો રોષ પણ તેમણે ઠાલવ્યો હતો. સ્થાનિકોએ વહિવટી તંત્રનો હુરિયો બોલાવી જો વહેલી તકે રસ્તાનું કામ પૂર્ણ નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.
