જન સેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંજાલી ગામ ખાતે આવેલી સંજાલી પ્રાથમિક શાળામાં ફાયર સેફટી અવેરનેસ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં આગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો હતો.
આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આગ લાગવાની પરિસ્થિતિમાં કેવી રીતે શાંતિ જાળવી રાખવી, આગ પર પ્રાથમિક રીતે કાબૂ મેળવવાના ઉપાયો, તેમજ ફાયર સેફટી સાધનોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત પ્રાયોગિક ડેમો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી તેઓ આકસ્મિક પરિસ્થિતિમાં યોગ્ય અને સમયસર પગલાં લઈ શકે.
કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટની ટીમ ઉપસ્થિત રહી હતી. શાળાના પ્રિન્સિપાલશ્રી તથા શિક્ષકમિત્રોએ પણ હાજરી આપી વિદ્યાર્થીઓને સુરક્ષા પ્રત્યે જાગૃત રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.
ટ્રસ્ટ દ્વારા સમાજમાં સુરક્ષા જાગૃતિ ફેલાવવાના હેતુસર આવનારા સમયમાં પણ આવા કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
