આજરોજ અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામ ખાતે Super Farm Chemistry Ltd. (યુપીએલ કંપની) દ્વારા સુલભ શૌચાલયના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત વિધિવત્ કરવામાં આવ્યું હતું.
જુના બોરભાઠા બેટ ગામ અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે આવેલું હોવાથી અહીંથી દરરોજ યાત્રાળુઓ, પગપાળા સંઘો તેમજ નર્મદા પરિક્રમાવાસીઓનું આવન-જાવન રહે છે. ઉપરાંત ગામમાં વસતી સંખ્યાબંધ હોવાને કારણે શુભ પ્રસંગો કે દુઃખદ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે, ત્યારે શૌચાલય જેવી મૂળભૂત સુવિધાની જરૂરિયાત ઊભી થાય છે.
આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગામના સરપંચ પંકજ પટેલ અને ડેપ્યુટી સરપંચ દીપક પટેલ દ્વારા કંપનીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે ગામમાં CSR ફંડમાંથી સુલભ શૌચાલયનું નિર્માણ કરવામાં આવે. કંપનીની CSR ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યા બાદ આશરે 14 લાખ રૂપિયાના ખર્ચે શૌચાલય બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.
ખાતમુહૂર્ત પ્રસંગે કંપનીના યુનિટ હેડ વિનોદ સિંહ, CSR યુનિટ હેડ એન.એન. ડોડીયા, સેફ્ટી હેડ નેહલ રાઉલજી સહિત ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગામજનો હાજર રહ્યા હતા. ગામજનો દ્વારા કંપનીનો આભાર વ્યક્ત કરી આ પહેલને આવકારવામાં આવી હતી.
