દહેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એપીઆઇ(એક્ટીવ ફાર્માસ્યુટીકલ ઇન્ગ્રિડિયન્ટ્સ) ઉત્પાદન કરતી એલાઇવસ લાઇફ સાયન્સ કંપનીમાં રસાયાણિક પ્રક્રિયા વેળાં અચાનક આગ લાગતાં ત્રણ કર્મચારીઓ દાઝી જતાં દોડધામ મચી ગઇ હતી.
દહેજની એલાઇવસ લાઇફ સાયન્સ કંપનીમાં બિલ્ડીંગ નંબર-6ના ત્રીજા માળે આવેલા વિભાગમાં ફાર્મા સ્યુટિકલ્સના એક્ટિવ ઇન્ગ્રિડિયન્ટ્સ બનાવાની કામગીરી ચાલી રહી હતી. તે વેળાં કેમિકલ પ્રક્રિયમાં કોઇ ક્ષતિ સર્જાતાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. આગની જ્વાળાની ચપેટમાં આવી જતાં ત્રણ કામદારો ગંભીર રીતે દાઝી ગયાં હતાં. આગ લાગવાની ઘટનાની સાથે જ કંપનીના કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. બીજી તરફ ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં લાશ્કરોએ દોડી આવી હતી. કંપનીના કર્મચારીઓ તેમજ લાશ્કરોએ યેનકેન પ્રકારે ત્રણેય કામદારોને બહાર કાઢ્યાં બાદ તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જે બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડાયાં હતાં. ઘટનાની જાણ થતાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમે સ્થળ પર દોડી એફએસએલની મદદથી આગ લાગ્યાનું સચોટ કારણ શોધવાની કવાયત હાથ ધરાઇ છે.
