અંકલેશ્વરના શાંતિનગર વિસ્તારમાં રહેતા 17 વર્ષીય કિશોર શિવમ કુશવાહા ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલા સારંગપુર ગામના શાંતિનગર ખાતે રહેતો શિવમ કુશવાહા બે-ત્રણ દિવસ પહેલાં અચાનક ગુમ થયો હતો. પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન તેની બાઈક અને મોબાઇલ ફોન ઝાડેશ્વર સ્થિત નર્મદા નદીના કિનારા નજીકથી મળી આવ્યા હતા. જોકે, શિવમનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
શોધખોળ ચાલુ હોય તે દરમિયાન કિશોરનો મૃતદેહ ઝઘડિયા તાલુકાના મઢી ઘાટ નજીક નર્મદા કિનારેથી વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.
પ્રાથમિક દૃષ્ટિએ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર બનાવને લઈને વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા ગુમ થવાની ઘટના અને મોત વચ્ચેના સંજોગોને ધ્યાનમાં રાખીને તમામ દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
