ભરૂચ
બાયફ સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), ચાસવડ ખાતે ૨૦મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી વર્ષના કૃષિ આયોજન અને ખેડૂતોના ઉત્કર્ષ માટે વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં KVK ચાસવડના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા મહેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કરી ગત વર્ષની મિટિંગની એજન્ડાઓનું વાંચન કરી, તેના પર લેવાયેલા પગલાંનો ‘એક્શન ટેકન રિપોર્ટ’ રજૂ કર્યો હતો. ત્યારબાદ સંસ્થાના વૈજ્ઞાનિકો દ્વારા વર્ષ ૨૦૨૫-૨૦૨૬ નો પ્રગતિ અહેવાલ,વર્ષ ૨૦૨૬-૨૦૨૭ માટેના આગામી લક્ષ્યાંકો અને આયોજન અહેવાલની સવિસ્તાર રજૂઆત કરવામાં આવી.
આ તકે, કાર્યક્રના અધ્યક્ષ ડૉ. રવિરાજ જાધવે સંસ્થાની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું કે, બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ ખરેખર પ્રભાવશાળી છે. કેન્દ્ર ખેડૂતો માટે હજુ વધુ ઉપયોગી બને અને પાયાના સ્તરે માર્ગદર્શન પૂરું પાડે તે જરૂરી છે.
વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત આર. શર્માએ KVK ભરૂચની કૃષિ પ્રવૃત્તિઓને બિરદાવી હતી. તેમણે ખાસ ભાર મૂકતા જણાવ્યું કે, કૃષિ યુનિવર્સિટી દ્વારા થતા નવા સંશોધનોની માહિતી સીધી ખેડૂતો સુધી પહોંચવી જોઈએ. સાથે જ, વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે નક્કર આયોજન કરવું અનિવાર્ય છે.
આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ, પ્રગતિશીલ ખેડૂતો અને વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા અને ખેતીને આધુનિક તેમજ નફાકારક બનાવવા અંગે પરામર્શ કર્યો હતો. ખેડૂત પ્રતિનિધીઓ અંબુભાઈ વસાવા ,છિતુભાઈ ચૌધરી અને સુમિત્રાબેન વસાવાએ સંસ્થા દ્વારા આપવામાં આવેલ વિવિધ પાકોના નિદર્શનો વિષે પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટી, ડૉ. ડી. ડી. પટેલ, ડીન અને આચાર્ય, કોલેજ ઓફ એગ્રિકલ્ચર, ભરૂચ, જે. આર. મોરી જોઇન્ટ રિજનલ ડાયરેક્ટર, બી.આઇ.એસ.એલ.ડી, ગુજરાત, ડૉ.અનિલ ચિન્ચમાલતપુરે, જોઇન્ટ ડાયરેક્ટર, સેન્ટ્રલ સોઇલ ક્ષાર સંશોધન સંસ્થા, ભરૂચ. એચ.ડી.પટેલ, નાયબ બાગાયત નિયામક, ભરૂચ, ડૉ. કે.વિ.પટેલ, સંશોધન વૈજ્ઞાનિક, રિઝનલ કપાસ સંસોધન કેન્દ્ર, ડૉ.આર.બી.પટેલ, મદદનીશ પ્રોફેસર, એન.એ.આર.પી, કોલેજ ઓફ એગ્રિકલ્ચર, ભરૂચ, મિસ.સુજા. સીબુ, ડી.ડી. એમ .નાબાર્ડ, પ્રોફેસર મહેશ. ડી. લાડ, નવસારી કૃષિ યુનિવર્સિટી, ડૉ. સંદીપ. સી. સાંગાણી, પ્રાધ્યાપક, બાગાયત, કોલેજ ઓફ એગ્રિકલ્ચર, ભરૂચ, એસ.વાય, સોલાનીયા, પ્રાદેશિક ઘાસચારા સંશોધન કેન્દ્ર, ધામરોડ, .એમ. એમ. ગોહિલ, સરપંચ ચાસવડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
