ભરૂચ:
ભરૂચમાં રહેતી એક ખાનગી બેંકની મહિલા કર્મચારી અને તેમના ભાઈ સાથે યુ.કે. વિઝા અપાવવાના બહાને લાખોની ઠગાઈ થયાનો મામલો સામે આવ્યો છે. આ અંગે મહિલાએ સંબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે.
ફરિયાદ મુજબ, ભરૂચની રહેવાસી અને ICICI બેંકની તુલશીધામ શાખામાં રિલેશનશિપ મેનેજર તરીકે ફરજ બજાવતી તૃષ્ણાબેન હર્ષવર્ધન ચાવડાના ભાઈ અંશુલ ચાવડાને યુ.કે. જવાની ઈચ્છા હોવાથી તેઓ જાન્યુઆરી-2024 દરમિયાન ભરૂચ સ્થિત ESPI ઓફિસ ખાતે વિઝા પ્રક્રિયા અંગે માહિતી લેવા ગયા હતા. ત્યાં તેમની ઓળખ ધ્રુવીબેન પટેલ સાથે થઈ હતી.
ત્યારબાદ ઓળખાણના આધારે અંજલ અને સાગર નામના વ્યક્તિઓએ ESPI કરતાં ઓછા ખર્ચે અને ઝડપથી યુ.કે. વિઝા કરાવી આપવાનું વચન આપી બંને ભાઈ-બહેનનો વિશ્વાસ જીત્યો હતો.
ફરિયાદ અનુસાર, આરોપીઓએ પરીક્ષા આપ્યા વગર SELT પરીક્ષા પાસ કરાવી આપવાના બહાને ₹5.50 લાખ લીધા હતા. ત્યારબાદ યુ.કે.ના ઓફર લેટર, સ્પોન્સરશિપ લેટર અને અન્ય પ્રક્રિયાના નામે વારંવાર રોકડ અને ઓનલાઈન નાણાં માંગ્યા હતા.
મહિલા અને તેમના ભાઈએ પોતાના પરિવારની ફિક્સ ડિપોઝિટ તોડીને તેમજ નિવૃત્તિ ભંડોળમાંથી નાણાં ઉપાડી વિવિધ હપ્તામાં આરોપીઓને કુલ ₹45.50 લાખ ચૂકવ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
બાદમાં આરોપીઓએ સ્પોન્સરશિપ લેટર મોકલ્યા બાદ વિઝાની પ્રક્રિયા શરૂ થઈ હોવાનું જણાવી VFS ખાતે દસ્તાવેજો પણ સબમિટ કરાવ્યા હતા. જોકે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બાદ વિઝા ન મળતાં ફરિયાદીએ આરોપીઓનો સંપર્ક કર્યો હતો. ત્યારે આરોપીઓએ ઇન્ટરવ્યૂ નિષ્ફળ જાય તો પૈસા પરત ન મળતા હોવાનું કહી સંપર્ક ટાળવાનું શરૂ કર્યું હતું.
ત્યારબાદ ફરિયાદી પરિવાર આરોપી અંજલના પિતા સુધી પહોંચ્યો હતો. ફરિયાદ મુજબ અંજલના પિતાએ ટુકડે-ટુકડે કરીને ₹20 લાખ પરત આપ્યા હતા, પરંતુ બાકી રહેલા ₹25.50 લાખ આજદિન સુધી પરત આપવામાં આવ્યા નથી.
આથી ફરિયાદીએ આરોપીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતના ગુનાઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
