ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાનની સ્થિતિને પગલે પશ્ચિમ રેલવેએ 24 જુલાઈ, 2026ના રોજ અનેક મહત્વની ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત કેટલીક ટ્રેનોને નિર્ધારિત ગંતવ્ય સુધી પહોંચતા પહેલાં જ શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.
રદ કરાયેલી ટ્રેનોમાં બાંદ્રા ટર્મિનસ–શ્રી વૈષ્ણોદેવી કટરા સ્વરાજ એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ–અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ–વેરાવળ સૌરાષ્ટ્ર જનતા, સુરત–અમરાવતી સુપરફાસ્ટ, અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ, ગાંધીનગર કેપિટલ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત, અમદાવાદ–વલસાડ ગુજરાત ક્વીન, દહાણુ રોડ–વડોદરા, દાદર–હનુમાનગઢ રાણકપુર એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ ડબલ ડેકર, બાંદ્રા ટર્મિનસ–મહુવા સુપરફાસ્ટ, નંદુરબાર–બોરીવલી એક્સપ્રેસ અને બોરીવલી–વટવા એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વડોદરા–ભરૂચ MEMU અને ભરૂચ–વડોદરા MEMU ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. તેમજ અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ પણ અસરગ્રસ્ત રહી છે.
પશ્ચિમ રેલવે દ્વારા 25 જુલાઈ, 2026ની અમરાવતી–સુરત સુપરફાસ્ટ તથા 26 જુલાઈ, 2026ની અમૃતસર–બાંદ્રા ટર્મિનસ પશ્ચિમ એક્સપ્રેસ પણ સંપૂર્ણપણે રદ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ
પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ નીચેની ટ્રેનોને તેમના અંતિમ ગંતવ્ય પહેલાં જ સમાપ્ત કરવામાં આવી છે:
02199 વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ (23 જુલાઈ) રતલામ ખાતે શોર્ટ ટર્મિનેટ કરાઈ, તેથી રતલામથી બાંદ્રા ટર્મિનસ વચ્ચેનો પ્રવાસ રદ કરવામાં આવ્યો.
09006 ભિવાની–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ (23 જુલાઈ) પણ રતલામ ખાતે શોર્ટ ટર્મિનેટ કરાઈ હતી.
09002 ભિવાની–મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ (22 જુલાઈ) દાહોદ ખાતે શોર્ટ ટર્મિનેટ કરાતા દાહોદથી મુંબઈ વચ્ચેની સેવા રદ કરવામાં આવી હતી.
પશ્ચિમ રેલવેએ મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનની સ્થિતિ ચકાસવા તેમજ રેલવેના અધિકૃત માધ્યમો પરથી નવીનતમ માહિતી મેળવવાની સલાહ આપી છે.
