Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratUncategorized

ભરૂચમાં અતિવૃષ્ટિ-પૂર સામે તંત્રની તૈયારીની સમીક્ષા, અધિક ઉદ્યોગ કમિશ્નર અમિત પ્રકાશ યાદવે કામગીરીને બિરદાવી

Share

 

ભરૂચ:

Advertisement

રાજ્યમાં અતિવૃષ્ટિ અને પૂરની સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક ઉદ્યોગ કમિશ્નર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વ તૈયારી, રાહત-બચાવ આયોજન અને વિવિધ વિભાગોની સજ્જતાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન ભરૂચ જિલ્લાના ભૂગોળ, નર્મદા અને ઢાંઢર નદીની સ્થિતિ, ડેમ, મુખ્ય પાક તેમજ છેલ્લા પાંચ વર્ષના અતિવૃષ્ટિના ઇતિહાસ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ વરસાદી પાણીના નિકાલ માટે કાંસોની સફાઈ, લાયઝન અધિકારીઓની નિમણૂક અને આગોતરા આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

માર્ગ અને મકાન વિભાગને વરસાદથી નુકસાન પામતા રસ્તાઓ અને પુલોની માહિતી તૈયાર રાખવા તેમજ જોખમી સ્થળોએ તાત્કાલિક બેરિકેટિંગ કરીને રસ્તા બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી. પૂર અંગે સમયસર ચેતવણી આપતી ‘ઈ-રેવા’ સિસ્ટમની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર, વિશેષ રેસ્ક્યૂ ટીમોની તૈયારી, ફૂડ પેકેટ અને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગને પૂર બાદ રોગચાળો અટકાવવા માટે ક્લોરિનેશન, દવાનો છંટકાવ, સર્વેલન્સ અને પૂરતી દવાઓ સાથે ટીમો તૈયાર રાખવા તાકીદ કરવામાં આવી હતી.

ડીજીવીસીએલને ભૂતકાળમાં પાણી ભરાયેલા સબ-સ્ટેશન અને ટ્રાન્સફોર્મરની માહિતી તૈયાર રાખી વરસાદ દરમિયાન અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે ટેકનિકલ ટીમો સ્ટેન્ડબાય રાખવા જણાવાયું હતું. ખાસ કરીને ભરૂચ જિલ્લાના જીઆઈડીસી વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે પણ સૂચનો કરાયા હતા.

ખેતીવાડી વિભાગને પાક નુકસાનના ઝડપી સર્વે માટે ટીમો તૈયાર રાખવા તેમજ પશુધન માટે ઘાસચારાની આગોતરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. માનવમૃત્યુ અને પશુમૃત્યુના કિસ્સાઓમાં સહાયની કામગીરી ઝડપી બનાવવા પણ સૂચના આપવામાં આવી હતી.

બેઠકમાં ચોમાસા દરમિયાન દરેક ગામમાં સરકારી કર્મચારી અથવા તલાટી-કમ-મંત્રી ફરજિયાત હાજર રહે તેમજ તમામ વિભાગો વચ્ચે સતત સંકલન જાળવી 24 કલાક નાગરિકોની સુરક્ષા માટે કાર્યરત રહેવા ભાર મૂકવામાં આવ્યો હતો.

બેઠકના અંતે અધિક ઉદ્યોગ કમિશ્નર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, જિલ્લામાં ભારે વરસાદ છતાં આગોતરા આયોજન અને અસરકારક મેનેજમેન્ટને કારણે કોઈ મોટી અનિચ્છનીય ઘટના સર્જાઈ નથી, જે બદલ સમગ્ર જિલ્લા વહીવટી તંત્રની કામગીરી પ્રશંસનીય છે.

સમિતિમાં જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

વાલિયા તાલકાના પઠાર ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરે આશાવર્કરનો સ્નાન કરતો વિડિયો ઉતરતા મામલો પોલીસમાં…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં ખનીજ ચોરી અટકાવવા સરપ્રાઈઝ ચેકિંગ, ૫ ટ્રક ઝડપાયા, રૂા. ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

નવસારીમાં કાર અને બસ વચ્ચે અકસ્માત થતાં 9 ના મોત, અન્ય ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!