ભરૂચ જિલ્લા ભાજપની નવી ટીમની તાજેતરમાં જાહેરાત થયા બાદ જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને નવનિયુક્ત સંગઠનની પરિચય બેઠક યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તથા જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાની ઉપસ્થિતિ રહી હતી.
બેઠકમાં નવનિયુક્ત મહામંત્રીઓ, ઉપપ્રમુખો, મંત્રીઓ તેમજ જિલ્લાના તમામ 14 મંડળોના પ્રમુખો, હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવા સંગઠનની સંયુક્ત પ્રથમ બેઠક દરમિયાન સૌએ પરસ્પર પરિચય આપ્યો હતો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરવામાં આવી હતી.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં તમામ હોદેદારો અને કાર્યકરોને સક્રિય રીતે કાર્ય કરવા આહ્વાન કર્યું હતું. વર્ષ 2021ની ચૂંટણી કરતાં પણ વધુ સારા પરિણામો મેળવવા માટે ભરૂચ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકામાં ભવ્ય જીત હાંસલ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
બેઠક દરમિયાન શુક્રવારે નેત્રંગ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ તેમજ શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ભરૂચ આગમનને લઈ આયોજન અંગે પણ ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યો હતો.
