ભરૂચ :
કપાસ પકવતા ખેડૂતોને આધુનિક વૈજ્ઞાનિક માર્ગદર્શન મળી રહે તે હેતુસર નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર (મકતમપુર, ભરૂચ) દ્વારા હાંસોટ ખાતે શ્રી યશવંતરાય જોષી કો-ઓપરેટિવ સોસાયટીમાં કપાસ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત કૃષિ યુનિવર્સિટી ગીત સાથે કરવામાં આવી હતી, જેમાં દક્ષિણ ગુજરાતની કૃષિ સંસ્કૃતિ અને ધન-ધાન્યનું મહત્વ દર્શાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો.
પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રના વડા ડૉ. કે. વી. વાડોદરીયાએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી ગ્રામીણ કૃષિ મૌસમ સેવા પ્રોજેક્ટ તેમજ કપાસ પાકમાં થયેલા આધુનિક સંશોધનો અંગે માહિતી આપી હતી.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે “સાંકડા ગાળે વાવેતર” જેવી આધુનિક ખેતી પદ્ધતિ અંગેનું માહિતીસભર માર્ગદર્શિકા ફોલ્ડરનું વિમોચન કરવામાં આવ્યું હતું. આચાર્ય ડૉ. ડી. ડી. પટેલે જણાવ્યું હતું કે ગુજરાત આજે વિવિધ પાકોની ઉત્પાદકતામાં દેશમાં મોખરે છે અને ખેડૂતોએ આવક વધારવા માટે હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ અપનાવવી જરૂરી છે. સાથે જ તેમણે જળ, જમીન અને જંગલના સંરક્ષણ પર ભાર મૂક્યો હતો.
મુખ્ય કપાસ સંશોધન કેન્દ્રના વડા ડૉ. એમ. સી. પટેલે પ્રગતિશીલ ખેડૂતોને નવી ટેકનોલોજી અપનાવવા તથા ટેકનિકલ માર્ગદર્શન માટે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સાથે સતત સંપર્કમાં રહેવા અનુરોધ કર્યો હતો.
પરિસંવાદમાં કૃષિ વૈજ્ઞાનિકોએ કપાસ ઉપરાંત શેરડી, તુવેર અને અન્ય પાકોની આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં હાંસોટ સોસાયટીના ચેરમેન મગનભાઈ પટેલ સહિત ડૉ. જે. જે. પટેલ, ડૉ. ડી. કે. પટેલ, ડૉ. પી. એસ. પટેલ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
