ભરૂચ :
ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ નિયામકની કચેરી, ભરૂચ તથા વિજય ભારતી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ભરૂચ સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લા સમરસતા સેમિનાર અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી અનુસૂચિત જાતિના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ અતિથિઓનું પુષ્પગુચ્છ અને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોએ સમાજના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વિજય ભારતી સંસ્થાના પ્રમુખ રતિલાલ રોહિતે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી અને અનુસૂચિત જાતિના લોકોને જાગૃત બની વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા પંચાયતના સમાજ કલ્યાણ અધિકારી મોસ્કીબેન વસાવાએ શૈક્ષણિક સહાય અને આર્થિક ઉત્થાન માટેની યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. નાબાર્ડના DDM સુજાતા મેડમે ગ્રામીણ વિકાસ, સ્વરોજગારી અને બેંકિંગ સહાય સંબંધિત યોજનાઓ વિશે વિસ્તૃત સમજ આપી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાયસંગભાઈ રાઠોડ, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના અધિકારીઓ નિકીબેન પટેલ અને રોશનીબેન, DRDA (NRLM)ના અધિકારી પ્રવીણભાઈ વસાવા, સામાજિક અગ્રણી મહેશભાઈ વસાવા, અંકલેશ્વરના સંત ભરત બાપુ તેમજ અન્ય સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ વસાવાએ કર્યું હતું. અંતે મહિલા દિવસ નિમિત્તે ઉપસ્થિત મહિલાઓનું સન્માન કરી સામાજિક સમરસતાનો સંદેશ આપતા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
