ભરૂચ :
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભરૂચ તથા EMRI ગ્રીનહેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે નવા ધન્વંતરી આરોગ્ય રથ અને મોબાઇલ મેડિકલ યુનિટનું લોકાર્પણ જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા અને અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં બાંધકામ સાઇટ્સ અને કડિયાનાકા પર કાર્યરત ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા બાંધકામ શ્રમિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેમાં તાવ, સર્દી, ખાંસી જેવી સામાન્ય બીમારીઓ માટે દવાઓ, સગર્ભા મહિલાઓની તપાસ, જનરલ ચેકઅપ તેમજ લેબોરેટરી હેઠળ લોહીના ટેસ્ટ જેવી સેવાઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં અગાઉથી ૮ ધન્વંતરી રથ કાર્યરત હતા, જેમાં આજે નવા રથને લીલીઝંડી આપવામાં આવી હતી.
આ નવા મોબાઇલ મેડિકલ યુનિટ અને ધન્વંતરી રથ દ્વારા ભરૂચ જિલ્લાના બાંધકામ શ્રમિકોને સ્થળ પર જ આરોગ્ય સુવિધાઓ વધુ સઘન રીતે ઉપલબ્ધ બનશે.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ, કારોબારી સભ્ય ધર્મેશભાઈ મિસ્ત્રી, આરોગ્ય સમિતિના ચેરમેન અનિલભાઈ વસાવા, જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલ તેમજ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નિરિક્ષક પી. કે. પટેલ અને પ્રોજેક્ટ મેનેજર કીંજલબેન પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
