વાંકલ ખાતે ઘરેલુ કલહથી કંટાળી એક મહિલાએ અગ્નિસ્નાન કરતાં તેની સારવાર દરમિયાન મોત નીપજતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પ્રેમચંદ રામ લખન ભારતી (મૂળ રહે. અર્જુનપુરા, ઉત્તર પ્રદેશ) વાંકલમાં રહી કલર કામનો વ્યવસાય કરે છે. લગ્નના આશરે છ મહિના બાદ દંપતી વાંકલ ખાતે રહેવા આવ્યું હતું. આ દરમિયાન પતિ દ્વારા વારંવાર ઝઘડા અને મારઝૂડ કરવામાં આવતા અસ્માબેન પ્રેમચંદ ભારતી (ઉંમર 28)એ પોતાના ભાઈ અને પિતાને આ અંગે જાણ કરી હતી.
માંગરોળ તાલુકાના વાંકલ ગામના ભૈયા નગર વિસ્તારમાં રહેતી અસ્માબેને અંતે કંટાળી પોતાના શરીર પર કેરોસીન છાંટી આગ લગાવી દીધી હતી. ઘટનામાં તેઓ ચહેરા અને પીઠના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા. તરત જ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે અસ્માબેનના પિતા જગન્નાથ સારાસરે ગૌતમ દ્વારા પતિ પ્રેમચંદ રામ લખન ભારતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
