આમોદ તાલુકાના શ્રીકોઠી ગામ નજીક બાઈક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થયો છે. ઘટનાને લઈને મૃતકના સસરા નરોત્તમભાઈ હરીભાઈ વસાવાએ કાયદેસરની કાર્યવાહી માટે ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદ મુજબ, મૃતક અર્જુનભાઈ બચુભાઈ વસાવા (ઉ.વ. 45), રહે. માત્રોજ (તા. કરજણ) તા. 18 એપ્રિલના રોજ પોતાના સસરાના ઘરે શ્રીકોઠી આવ્યા હતા. ત્યારબાદ 19 એપ્રિલના બપોરના સમયે તેઓ પોતાની મોટરસાયકલ લઈને પોતાના ગામ માત્રોજ જવા માટે નીકળ્યા હતા.
તે દરમિયાન શ્રીકોઠીથી રોંધ જતા રસ્તા ઉપર ગામથી થોડે દૂર તેઓ બાઈક ઝડપી અને બેફિકરાઈથી ચલાવતા રોડની સાઇડમાં આવેલા સાઇનબોર્ડ સાથે અથડાઈ ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે તેઓ લોહીલુહાણ હાલતમાં બેહોશ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં નરોત્તમભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા, જ્યાં અર્જુનભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમની બાઈક પણ તૂટી ખાડામાં પડી હતી. આસપાસના લોકો પણ ઘટના સ્થળે ભેગા થયા હતા.
પછી 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને આમોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે નરોત્તમભાઈએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, અર્જુનભાઈએ બાઈક બેફિકરાઈ અને પુરઝડપે હંકારી અકસ્માત સર્જ્યો હતો, જેના કારણે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે ફરીયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
