ભરૂચ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત મહત્તમ મતદાન થાય અને લોકશાહીના આ પર્વમાં છેવાડાના માનવી સુધી જાગૃતિ પહોંચે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં સઘન મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ અભિયાનના ભાગરૂપે વાગરા તાલુકાના ગંધાર ગામ ખાતે સ્વેપ (SVEEP) નોડલ અધિકારી તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પ્રતિનિધિઓ દ્વારા વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરિયાકાંઠાના મીઠા ઉદ્યોગમાં કાર્યરત અગરિયા કામદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે અધિકારીઓએ સ્થળ પર જઈને રૂબરૂ મુલાકાત લીધી હતી. કામદારોને આગામી 26 એપ્રિલે યોજાનાર મતદાનમાં અચૂક ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ તકે અગરિયા ભાઈઓ-બહેનો દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન કરવાનો શપથ લેવાયો હતો.
ટીમ દ્વારા ગંધારના રહેણાંક વિસ્તારોમાં ઘર-ઘર જઈને મતદારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
તે જ રીતે અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. અહીં ચૂંટણી વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને મતદાનના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. ઈવીએમ દ્વારા મતદાન પ્રક્રિયા, મતદાન કરવાની રીત તેમજ લોકશાહીમાં દરેક મતનું મહત્વ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે ગામના વડીલો, યુવાનો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકસાથે મળી નૈતિક મતદાન કરવાનો શપથ લીધો હતો. “મારો મત, મારો અધિકાર” ના નારા સાથે સૌએ પોતે મતદાન કરશે અને અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરિત કરશે તેવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ રીતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં જાગૃતિ ફેલાવી વધુમાં વધુ મતદાન સુનિશ્ચિત કરવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
