ભરૂચ ::
સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત ભરૂચ જિલ્લામાં તા. 28 એપ્રિલે યોજાનાર મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા તંત્ર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ મુજબ તા. 26 એપ્રિલે મતદાન પૂર્ણ થયા બાદ તા. 28 એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ દરમિયાન મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે હેતુસર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 ની કલમ-163 હેઠળ ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ખાસ હુકમ જાહેર કરવામાં આવ્યો છે.
આ હુકમ મુજબ મતગણતરીના દિવસે સવારે 5 વાગ્યાથી મતગણતરી પૂર્ણ થાય ત્યાં સુધી મતગણતરી કેન્દ્રોના બિલ્ડિંગની આસપાસના 100 મીટરના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા, સભા ભરવા અથવા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ આ વિસ્તારમાં મોબાઈલ અથવા સેલ્યુલર ફોન લઈને પ્રવેશ કરવા, તેનો ઉપયોગ કરવા અથવા ફરવા ઉપર પણ રોક લગાવવામાં આવી છે.
તેમ છતાં, ચૂંટણી પ્રક્રિયામાં ફરજ પર રહેલા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ સ્ટાફ તથા ચૂંટણી અધિકારીઓ દ્વારા અધિકૃત વ્યક્તિઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ આદેશનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ, 1951 ની કલમ-135 તેમજ ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે પોલીસ વિભાગના અધિકારીઓને પણ અધિકૃત કરવામાં આવ્યા છે.
આ અંગેની વિગત ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભરૂચ દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીમાં આપવામાં આવી છે.
