ઘણી બધી શાળાઓ વધારાની ફી અલગ અલગ બહાના હેઠળ લેતી હોવાની ફરિયાદો સામે આવી
ભરૂચ.
રાઇટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઉલજી એ મહત્વપૂર્ણ સંદેશ આપતા જણાવ્યું હતું કે RTE યોજના હેઠળ અભ્યાસ કરતા બાળકોની શૈક્ષણિક ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આવી સ્થિતિમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી વાલીઓ પાસેથી વિવિધ બહાના હેઠળ વધારાની ફી વસૂલાત કરવામાં આવતી હોવાની માહિતી તંત્ર સુધી પહોંચી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે ફી રેગ્યુલેટરી કમિટી (FRC) દ્વારા જે ફી મંજૂર કરવામાં આવે છે, તેનાથી વધુ રકમ કોઈપણ શાળા વસૂલ કરી શકતી નથી. છતાં કેટલીક શાળાઓ યુનિફોર્મ, પુસ્તકો, ચોક્કસ પ્રકારની નોટબૂકો, વાર્ષિક કાર્યક્રમો, એક્ટિવિટી ચાર્જ, સ્માર્ટ ક્લાસ, ટ્રાન્સપોર્ટ કે અન્ય વિવિધ બહાના હેઠળ વધારાની રકમ માંગતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે.
જિલ્લા શિક્ષણાધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આવી વસૂલાત સરકારના નિયમોની વિરુદ્ધ છે અને વાલીઓએ આવા દબાણ સામે જાગૃત રહેવાની જરૂર છે. જો કોઈ શાળા વાલીઓને વધારાની ફી ભરવા માટે દબાણ કરે અથવા વિદ્યાર્થીઓને કોઈ રીતે હેરાન કરે તો વાલીઓએ તેના પુરાવા સાથે લેખિતમાં ફરિયાદ કરવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વાલીઓ દ્વારા યોગ્ય આધાર અને પુરાવા સાથે રજૂઆત કરવામાં આવશે તો સંબંધિત શાળાઓ સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. જરૂરી જણાશે તો શાળાની તપાસ, નોટિસ અને કાનૂની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
સ્વાતીબા રાઉલજીએ વાલીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે અને FRC દ્વારા નક્કી કરાયેલી ફી સિવાય કોઈપણ વધારાની રકમ ભરવા માટે તેઓ બાધ્ય નથી. શાળાઓ પણ વાલીઓ પાસેથી ફરજિયાત રીતે આવી ફી માંગીને દબાણ કરી શકતી નથી. તેમણે અંતમાં ઉમેર્યું હતું કે શિક્ષણનો અધિકાર દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે અને સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે RTE યોજના અમલમાં મુકવામાં આવી છે. આવી યોજનાઓમાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે તંત્ર સંપૂર્ણ ગંભીરતાથી કાર્યવાહી કરશે.
