સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના વાંકલ ગામની યુવા કલાકાર ફોરમ ચૌધરીએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. તેમની પસંદગી “વન સ્ટેટ વન આર્ટિસ્ટ (OSOA)” નામની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સાંસ્કૃતિક પહેલ માટે કરવામાં આવી હતી, જ્યાં તેમણે આદિવાસી સમાજની પ્રસિદ્ધ વારલી કળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
હિમાચલ પ્રદેશના નશાલા ખાતે તા. ૧ થી ૯ મે ૨૦૨૬ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોમાંથી પસંદ કરાયેલા ૩૮ યુવા લોક અને પરંપરાગત કલાકારોએ ભાગ લીધો હતો. આ પહેલનો મુખ્ય હેતુ ભારતની લોક અને પરંપરાગત કળાઓને જીવંત રાખવાનો તથા યુવા કલાકારોને રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા રજૂ કરવાની તક પૂરી પાડવાનો હતો.
ફોરમ ચૌધરીએ ગુજરાતની આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમાન વારલી કળાને અનોખી રીતે રાષ્ટ્રીય મંચ પર રજૂ કરી હતી. તેમની કૃતિઓએ વિવિધ રાજ્યોના કલાકારો અને પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તેમણે અન્ય રાજ્યોના કલાકારો સાથે મળીને સહયોગી કલાકૃતિઓ તૈયાર કરી હતી તેમજ વિવિધ કલા વર્કશોપ, સાંસ્કૃતિક સંવાદ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો હતો.
“OSOA” પહેલની પરિકલ્પના યુવા આર્ટિસ્ટ પ્રકાશ ગર્ગ દ્વારા કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની લોકકળા પરંપરાઓને યુવાનો દ્વારા નવી ઓળખ આપવાનો તેમજ દેશના વિવિધ સાંસ્કૃતિક વારસાને એક મંચ પર લાવવાનો છે.
ફોરમ ચૌધરીની આ સિદ્ધિ માત્ર વાંકલ ગામ માટે જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાત અને આદિવાસી કલા પરંપરા માટે ગૌરવનો વિષય બની છે. તેમની સફળતા દર્શાવે છે કે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોના યુવા કલાકારો આજે પોતાની પ્રતિભા દ્વારા રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ બનાવી રહ્યા છે.
