ભરૂચના ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના અનુભૂતિધામ સેવા કેન્દ્ર ખાતે તા. 14 મે 2026ના રોજ બ્રહ્માકુમારીઝ સંસ્થાના મુખ્ય લેખક અને પ્રખર વક્તા આદરણીય રાજયોગી બી.કે. જગદીશભાઈજીની 25મી પુણ્યતિથિ શ્રદ્ધા અને આધ્યાત્મિક ભાવનાથી ઉજવવામાં આવી હતી.
સાંજે 06:30 થી રાત્રે 08:30 વાગ્યા સુધી યોજાયેલા આ કાર્યક્રમમાં જ્ઞાન સરોવર, માઉન્ટ આબુના ડાયરેક્ટર તથા ભરૂચ સબઝોનના ઇન્ચાર્જ આદરણીય રાજયોગિની બી.કે. પ્રભાદીદીજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનો તેમજ ગણમાન્ય નાગરિકોએ હાજરી આપી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે રાજયોગ મેડિટેશન, પુષ્પાંજલિ અને સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વક્તાઓએ બી.કે. જગદીશભાઈજીના આધ્યાત્મિક યોગદાન, ગહન જ્ઞાન અને પ્રભાવશાળી વક્તૃત્વ કલાને યાદ કરતાં જણાવ્યું કે તેમણે ઈશ્વરીય સંદેશને દેશ-વિદેશ સુધી પહોંચાડવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.
બી.કે. પ્રભાદીદીજીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે બી.કે. જગદીશભાઈજીનું સમગ્ર જીવન સમર્પણ, સેવા, તપસ્યા અને આધ્યાત્મિકતાનું ઉત્તમ પ્રતિક હતું. તેમના દ્વારા આપવામાં આવેલી શિક્ષાઓ આજે પણ લાખો લોકોને સકારાત્મક અને શાંતિમય જીવન જીવવાની પ્રેરણા આપી રહી છે.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત આશરે 150 જેટલા ભાઈ-બહેનોને બાબાનો ભોગ વિતરણ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ આધ્યાત્મિક ઉર્જા અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો.
