ભરૂચ : આમોદ તાલુકામાં જાહેર માર્ગ પર એક વ્યક્તિની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આમોદ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ આમોદના વાંટા રબારીવાડ વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા મહેબૂબ ઉર્ફે લાલા મહીડા (ઉ.વ. 40)ની તા. 16 મેના રોજ બપોરના આશરે 12 વાગ્યાના સમયે આમોદ ખાતે મહમદ શાહપીરની દરગાહ પાસે આવેલા રોડ ઉપર હત્યા કરવામાં આવી હતી.
ફરિયાદ અનુસાર આમોદના વાંટા રોડ વિસ્તારમાં રહેતા સાહિલ રણજીત ચૌહાણે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે મહેબૂબ ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં ગળા, હાથ તથા પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મહેબૂબ ઉર્ફે લાલા મહીડાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
મૃતકના ભાઈ મોહમ્મદ હનીફ ફતેસંગ મહીડાએ આમોદ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીના મોટાભાઈની પત્ની સાથે મૃતકને પ્રેમ સંબંધ હોવાની શંકાને લઈ બંને પક્ષ વચ્ચે અગાઉથી અદાવત ચાલી રહી હતી. આ મુદ્દે અગાઉ સમાધાન પણ કરવામાં આવ્યું હતું, છતાં આરોપી મનદુઃખ રાખતો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે.
ઘટનાના દિવસે આરોપીએ જાહેરમાં મૃતકને અટકાવી તેના ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. બનાવની જાણ થતાં જ આમોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે મૃતકના સગા-સંબંધીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર બનાવને લઈને વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ જવા પામી હતી.
આમોદ પોલીસે આરોપી સાહિલ રણજીત ચૌહાણ સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
