વાંકલ :: માંગરોળ અને ઉમરપાડા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી બાદ સત્તા પર મજબૂત પકડ જમાવી છે. બંને તાલુકા પંચાયતોમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોની બિનહરીફ વરણી થતા ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
માંગરોળ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે ૨૦ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. ત્યારબાદ પાર્ટી દ્વારા વિવિધ હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ પદે ઉચ્ચ શિક્ષિત સંગીતાબેન અશ્વિનભાઈ ગામીતની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે ઉર્વશીબેન સોલંકીની વરણી કરવામાં આવી હતી. અન્ય કોઈ ઉમેદવારી નોંધાઈ ન હોવાથી તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપના પ્રભારી દીપકભાઈ વસાવા, વરિષ્ઠ આગેવાન દિલીપસિંહ રાઠોડ તથા સંગઠનના પદાધિકારીઓની હાજરીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. નવા હોદ્દેદારોના નામ જાહેર થતાં કાર્યકરો અને સમર્થકોએ હર્ષધ્વનિ સાથે વધાવી લીધા હતા.
પ્રમુખ પદે વરાયેલા સંગીતાબેન ગામીત આંબાવાડી બેઠક પરથી અંદાજે 1500થી વધુ મતોની લીડ સાથે વિજેતા બન્યા હતા. મૂળ વેરાકુઈ ગામના વતની સંગીતાબેન M.A., B.Ed. સુધીનો ઉચ્ચ અભ્યાસ ધરાવે છે. તેમની શૈક્ષણિક લાયકાત અને સામાજિક સક્રિયતાને ધ્યાનમાં રાખી પાર્ટીએ તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે અગાઉની ટર્મમાં પણ વેરાકુઈ ગામના ચંદનબેન મહેશભાઈ ગામીત બે વખત તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે. હવે ફરી એકવાર આ જ ગામની શિક્ષિત મહિલાને પ્રમુખપદની તક મળતા ગામમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.
માંગરોળ તાલુકા પંચાયતના અન્ય હોદ્દેદારોમાં ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ તરીકે ઉર્વશીબેન સોલંકી, શાસક પક્ષના નેતા તરીકે સીતાબેન ચૌધરી અને દંડક તરીકે હરેશભાઈ વસાવાની વરણી કરવામાં આવી છે.
બીજી તરફ ઉમરપાડા તાલુકા પંચાયત ખાતે પણ ભાજપનો ભગવો લહેરાયો હતો. તાલુકા પંચાયત પ્રમુખ પદે સપનાબેન વસાવાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે અમરસીંગ બાંગાભાઈ વસાવા અને અધ્યક્ષ તરીકે શીતલ વસાવાની પસંદગી કરવામાં આવી હતી.
બંને તાલુકા પંચાયતોમાં ભાજપના હોદ્દેદારોની બિનહરીફ વરણી થતા પક્ષ કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
