રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હંમેશા પોતાની સાદગી અને જનસેવાના કાર્યો માટે જાણીતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવા માટે આપવામાં આવેલા આર્થિક આત્મરક્ષાના મંત્રને ચરિતાર્થ કરતા રાજ્યપાલે ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ અંતર્ગત ભરૂચ જિલ્લાના બે દિવસીય પ્રવાસે જવા માટે એક સામાન્ય નાગરિકની જેમ અમદાવાદ રેલવે સ્ટેશનથી ભરૂચ સુધી ટ્રેન મારફત મુસાફરી કરી હતી. મુસાફરી દરમિયાન રાજ્યપાલે અન્ય મુસાફરો સાથે સહજ સંવાદ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બે દિવસીય કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલશ્રી અંકલેશ્વર તાલુકાના નવા કાંસિયા ખાતે આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં સહભાગી થઈ સ્વચ્છતા, વૃક્ષારોપણ, સામાજિક સમરસતા, ગ્રામીણ વિકાસ, પ્રાકૃતિક કૃષિ, શિક્ષણ, વ્યસન મુક્તિ જેવા વિષયો પર ગ્રામજનોને માર્ગદર્શન આપશે.
ભરૂચ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અંકલેશ્વર તાલુકાના નવા કાંસિયા ગામે આદિવાસી પરિવારના ચંદાબેન સુકાભાઈ વસાવાના ઘરે પહોંચીને તેમના પરિજનો સાથે સાદા ભોજનનો આસ્વાદ માણ્યો હતો.
રાજ્યપાલે અત્યંત સહજતા અને આત્મીયતા સાથે પરિવારના તમામ સભ્યો સાથે વાતચીત કરી તેમની જીવન પરિસ્થિતિ અંગે પૃચ્છા કરી હતી. પરિવાર સાથે તેમણે પ્રેમભર્યો વાર્તાલાપ કરી પરિવારના જીવન વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી.
ભોજન દરમિયાન રાજ્યપાલે પરિવારના સભ્યોના રોજગાર, ખેતી-પશુપાલન અને જીવન નિર્વાહ અંગે પણ માહિતી મેળવી હતી. ગામડાની પરંપરા મુજબ રાજ્યપાલશ્રીએ સાદા ભોજનનો આસ્વાદ માણ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ચંદાબેનનો પરિવાર ખેત મજૂરી દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. રાજ્યપાલ તેમના ઘરે પધાર્યા અને પરિવાર સાથે ભોજન કર્યું તે બદલ પરિવારના સભ્યો ભાવવિભોર બની ગયા હતા.
