ભરૂચ : નેત્રંગ તાલુકા પંચાયતની ૩-બિલોઠી બેઠકની પેટા ચૂંટણીને અનુલક્ષીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિન્ટિંગ સાહિત્ય અને પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા વાહનો અંગે જરૂરી નિયંત્રણો લાદવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.બી. ભોગાયતાએ આ અંગે અલગ-અલગ જાહેરનામાં પ્રસિદ્ધ કરી નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી છે.
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જુલાઈ-૨૦૨૬ની પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકા પંચાયતની ૩-બિલોઠી બેઠક માટે તા. ૨૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ મતદાન અને તા. ૩૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ મતગણતરી યોજાશે.
ચૂંટણી સાહિત્ય પર મુદ્રક-પ્રકાશકની વિગતો ફરજિયાત
ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા પ્રચાર માટે છપાવવામાં આવતા ચોપાનિયા, ભીંતપત્રો, હેન્ડબિલ, પ્લેકાર્ડ, પોસ્ટર સહિતના ચૂંટણીલક્ષી સાહિત્યના મુદ્રણ અને પ્રકાશન પર નિયંત્રણ રાખવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ મુદ્રક અને પ્રકાશકનું નામ તથા સરનામું ન હોય તેવા કોઈપણ ચૂંટણીલક્ષી ચોપાનિયા, ભીંતપત્ર, હેન્ડબિલ કે પ્લેકાર્ડ છાપી કે પ્રસિદ્ધ કરી શકાશે નહીં. તેમજ આવું સાહિત્ય છપાવતી વખતે પ્રકાશકની ઓળખ અંગે જરૂરી એકરારની બે નકલ મુદ્રકને આપવાની રહેશે.ઉમેદવારોના પ્રચાર માટે હેન્ડબિલ, પ્લેકાર્ડ, પોસ્ટર, ચોપાનિયા અને ભીંતપત્રો સહિતનું સાહિત્ય છાપવામાં આવે ત્યારે સંબંધિત પ્રિન્ટિંગ પ્રેસના માલિક અથવા મુદ્રકે સાહિત્ય ઉપર પોતાનું નામ, મુદ્રકનું નામ-સરનામું તેમજ છાપવામાં આવેલી નકલોની સંખ્યા દર્શાવવી ફરજિયાત રહેશે.લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૧૨૭(ક) હેઠળ આવું સાહિત્ય છાપનાર વ્યક્તિએ તેની ચાર નકલ સંબંધિત ચૂંટણી અધિકારીને મોકલવાની રહેશે અને નિયત નમૂનામાં લેખિત જાહેરાત પણ કરવાની રહેશે. તમામ પ્રિન્ટિંગ પ્રેસના માલિકો અને મુદ્રકોને આ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવા જણાવાયું છે.
પ્રચાર વાહન માટે અસલ પરમિટ ફરજિયાત
બીજા જાહેરનામા દ્વારા ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાતા વાહનો માટે પણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. રાજકીય કે બિનરાજકીય પક્ષોના ઉમેદવારો, કાર્યકરો અથવા ઉમેદવારની સંમતિથી અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા તમામ વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી સંબંધિત ચૂંટણી અધિકારી પાસેથી પરમિટ મેળવવી ફરજિયાત રહેશે.
વાહન માટે મેળવવામાં આવેલી અસલ પરમિટ વાહનની વિન્ડસ્ક્રીન પર સહેલાઈથી દેખાય તે રીતે લગાવવાની રહેશે. પરમિટની ફોટોકોપી માન્ય ગણાશે નહીં. પરમિટ મેળવ્યા અને વાહન રજિસ્ટર કરાવ્યા વિના કોઈપણ વાહનનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ નિયંત્રણ યાંત્રિક શક્તિથી કે અન્ય રીતે ચાલતા તમામ પ્રકારના વાહનોને લાગુ પડશે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘનમાં મદદ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે. હુકમની અમલવારી માટે બિલોઠી બેઠકની પેટા ચૂંટણી હેઠળ આવતા સમગ્ર વિસ્તારમાં આચારસંહિતા નોડલ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે. પ્રચાર વાહનો અંગેનો આ હુકમ તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.બી. ભોગાયતા દ્વારા અખબારી યાદીમાં તમામ સંબંધિતોને ચૂંટણી પંચની સૂચનાઓ અને જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવા જણાવાયું છે.
