જંબુસર જનરલ હોસ્પિટલના ડૉ. તુષાર પટેલ દ્વારા સેવાકીય ભાવના સાથે નવયુગ વિદ્યાલયના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળામાં તેમના પ્રતિનિધિ તરીકે ડૉ. ઉર્વેશભાઈ પટેલ તથા ડૉ. હેમંતભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે ડૉ. ઉર્વેશભાઈ પટેલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, “આ સેવાકીય અને યજ્ઞરૂપ કાર્ય કરવાની અમને જે તક મળી છે, તે બદલ ડૉ. તુષાર પટેલ વતી શાળા પરિવારનો આભાર વ્યક્ત કરું છું.”
શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલી આ સહાયને આવકારી હતી. તેમણે નિઃસ્વાર્થ સેવાકાર્યમાં સહયોગ આપવા બદલ જંબુસર જનરલ હોસ્પિટલના ડૉ. તુષાર પટેલનો સમગ્ર શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો.
જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે જરૂરી સુવિધાઓ મળી રહે તે દિશામાં કરવામાં આવેલી આ સેવાકીય પહેલને શાળા પરિવારે બિરદાવી હતી.
