ભરૂચ જિલ્લાના નબીપુર નજીક નેશનલ હાઈવે નંબર-48 પર મોડી રાત્રે એક હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગી જતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતા હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની તીવ્રતા વધુ હોવાથી ટ્રકનો મોટો ભાગ બળી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાને પગલે નેશનલ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત થઈ હતી. વાહનોની લાંબી કતારો લાગી જતા હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ અને સ્થાનિક તંત્રએ ટ્રાફિકને નિયંત્રિત કરી પરિસ્થિતિ સામાન્ય બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
