વાંકલ :: રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસ સ્ટેશન દ્વારા માનવતા અને જીવદયાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ખાખી વર્દી માત્ર કાયદો અને વ્યવસ્થાનું પ્રતિક નથી, પરંતુ સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીનું પણ પ્રતિબિંબ બની શકે છે, તે ઉમરપાડા પોલીસે સાબિત કરી બતાવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પક્ષીઓ બચાવવાની અપીલને સાર્થક કરતા ઉમરપાડા પોલીસ સ્ટેશન પરિસરમાં આવેલા વૃક્ષો તેમજ ઓફિસની દીવાલો પર અબોલ પક્ષીઓ માટે લાકડાના માળા (ચકલીઘર) અને પાણીના કુંડા મુકવામાં આવ્યા છે. ઉનાળાની આકરા તાપમાં પાણી અને આશ્રય માટે ભટકતા પક્ષીઓને અહીં સુરક્ષિત ઠેકાણું મળી રહ્યું છે.
પોલીસ જવાનો પોતાની નિયમિત ફરજની સાથે-સાથે દરરોજ આ કુંડાઓમાં સ્વચ્છ પાણી ભરીને જીવદયાની ભાવના પણ જીવંત રાખી રહ્યા છે. પરિણામે, પોલીસ સ્ટેશન પરિસરમાં હવે વિવિધ પક્ષીઓનો મધુર કલરવ સંભળાઈ રહ્યો છે, જે સમગ્ર વાતાવરણને જીવંત બનાવી દે છે.
પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારો અને સ્થાનિક નાગરિકો ખાખી વર્દીધારીઓનું આ અનોખું અને લાગણીસભર રૂપ જોઈને પ્રભાવિત થયા છે. સોશિયલ મીડિયા પર પણ ઉમરપાડા પોલીસ સ્ટેશનની આ પહેલના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને લોકો દિલથી આ કામગીરીને બિરદાવી રહ્યા છે.
“ફરજની સાથે માનવતા”ના સંદેશ સાથે ઉમરપાડા પોલીસની આ પહેલ અન્ય સરકારી કચેરીઓ અને સામાન્ય નાગરિકો માટે પણ પ્રેરણારૂપ બની છે.
