સુરત શહેરના ‘હ્યુમન રાઇટ્સ ફેડરેશન’ (USA)ના પ્રમુખ મહેન્દ્ર આયાલાણી દ્વારા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 63 અને 64ના કથિત દુરુપયોગ સામે ભારતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ પિટિશન દાખલ કરવામાં આવી છે. અરજીમાં નિર્દોષ પુરુષોને ખોટા કેસોમાં ફસાવી માનસિક તણાવ અને આત્મહત્યા તરફ ધકેલાતા હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
પિટિશનમાં માંગ કરવામાં આવી છે કે લગ્નના ખોટા વાયદાના આરોપ હેઠળ નોંધાતા ગુનાઓમાં FIR નોંધતા પહેલા ગેઝેટેડ પોલીસ અધિકારી દ્વારા ફરજિયાત અને નિષ્પક્ષ પ્રાથમિક તપાસ કરવામાં આવે. સાથે જ જો ફરિયાદ ખોટી સાબિત થાય તો ફરિયાદી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી પીડિત વ્યક્તિને યોગ્ય વળતર આપવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે.
અરજીમાં વધુમાં જણાવાયું છે કે ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આરોપીની ઓળખ જાહેર ન કરવી જોઈએ અને મીડિયા ટ્રાયલ પર નિયંત્રણ લાવવું જોઈએ, જેથી નિર્દોષ લોકોની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન ન પહોંચે.
Human Rights Federation દ્વારા ન્યાયતંત્રને આ મુદ્દે ગંભીરતાપૂર્વક વિચારણા કરી નિર્દોષોના જીવન અને માનસિક સુરક્ષાના રક્ષણ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવાની અપીલ કરવામાં આવી છે.
