ભરૂચ જિલ્લાના લુવારા પાટિયા નજીક નેશનલ હાઇવે નં. 48 પર બોલેરો પીકઅપ પલટી ખાઈ જતાં એક મજૂરનું મોત નિપજ્યું હતું જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત અંગે ઈજાગ્રસ્ત દભાઈ મડીયાભાઈ ખરાડીએ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, દભાઈ મડીયાભાઈ ખરાડી (ઉ.વ.22), મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ મજૂરી કામ કરતા, પોતાના મોટાભાઈ કસનાભાઈ તથા અન્ય લોકો સાથે સુરતના કડોદરા ખાતે મજૂરી કામ માટે જવા નીકળ્યા હતા. મોહનપુર ગામ નજીક તેઓ બસની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ગામના છીતુભાઈ રૂપસિંગભાઈ મેડા પોતાની બોલેરો પીકઅપ ગાડી નં. GJ-20-X-7593 લઈને આવ્યા હતા અને સુરત જતાં હોવાથી સાથે આવવા કહ્યું હતું.
ત્યારબાદ તમામ લોકો બોલેરો પીકઅપમાં બેસી સુરત તરફ જવા નીકળ્યા હતા. ગત તા. 31/05/2026ના રોજ વહેલી સવારે આશરે 2 વાગ્યાના અરસામાં વડોદરાથી ભરૂચ તરફના નેશનલ હાઇવે નં.48 ઉપર લુવારા પાટિયા નજીક બ્રિજનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન ડ્રાઈવર છીતુભાઈ મેડાએ ડાયવર્ઝન ધ્યાનમાં ન લેતાં અને પુરઝડપે ગાડી હંકારતાં અચાનક સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બોલેરો પીકઅપ પલટી મારી ગઈ હતી.
અકસ્માતમાં ફરિયાદી દભાઈને કપાળ, આંખ અને જમણા પગના ઘૂંટણના ભાગે ઈજાઓ પહોંચી હતી. જ્યારે તેમના મોટાભાઈ કસનાભાઈ મડીયાભાઈ ખરાડી (ઉ.વ.31)ને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. સાથે જ કસનાભાઈના ચાર વર્ષીય પુત્ર નવેશને સામાન્ય ઈજાઓ થઈ હતી.
અકસ્માતમાં બોલેરો પીકઅપમાં સવાર બાપુ રામુ ભાભોર, અર્જુનભાઈ ધુળીયાભાઈ બારીયા, મમતાબેન અર્જુનભાઈ બારીયા અને શનુબેન બાપુભાઈ બારીયા સહિતના લોકોને પણ ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસે બોલેરો પીકઅપના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
