અંકલેશ્વર શહેરમાં પાર્ક કરેલી એક ફોર્ચ્યુનર કારને અજાણ્યા શખ્સોએ આગ ચાંપી ફરાર થઈ જતાં ચકચાર મચી છે. બનાવ અંગે અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અંકલેશ્વરના સ્ટેશન રોડ પર આવેલી આશિયાના હોટલ નજીક ઉમર રેસીડેન્સીમાં રહેતા રિયાઝ શેખે પોતાની ફોર્ચ્યુનર કાર ઘર પાસે પાર્ક કરી હતી. દરમિયાન મધરાત્રીના સમયે અજાણ્યા ઈસમોએ કારમાં આગ લગાવી દીધી હતી. આગને કારણે કારને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
ફરિયાદી રિયાઝ શેખે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેમણે ઇસ્લામ ધર્મ વિરુદ્ધ બોલતા લોકો સામે અવાજ ઉઠાવ્યો હતો. જેના કારણે અંગત અદાવત રાખી બદલો લેવાના ઇરાદે તેમની કારને સળગાવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે. સાથે જ તેમણે પોતાની જાનને પણ જોખમ હોવાનું જણાવી હત્યાની આશંકા વ્યક્ત કરી છે.
ઘટનાની જાણ થતાં અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે સીસીટીવી ફૂટેજ, અન્ય પુરાવા તેમજ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલાની તપાસ બાદ હકીકત સામે આવશે અને સંડોવાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
