અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાંથી 10 વર્ષીય બાળક રહસ્યમય રીતે ગુમ થઈ જતાં પરિવાર ચિંતામાં મુકાયો છે. બાળકની માતાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ અપહરણની આશંકા વ્યક્ત કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ગુંજાદેવી મનોજ યાદવ (ઉ.વ.37), હાલ આનંદવિહાર સોસાયટી, ચંડાલ ચોકડી પાસે, ગડખોલ ખાતે પરિવાર સાથે રહે છે. તેમના પતિ અંકલેશ્વર GIDC સ્થિત ગુજરાત ગાર્ડિયન કંપનીમાં નોકરી કરે છે. પરિવારના ત્રણ પુત્રોમાં અંકુશકુમાર (ઉ.વ.10 વર્ષ 3 મહિના) સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલ, ગડખોલમાં અભ્યાસ કરે છે.
ગત તા.29/05/2026ના રોજ સવારે દશેક વાગ્યાના સમયે ગુંજાદેવી પોતાના બે પુત્રોને ન્હવડાવવા ઘરની પાછળ લઈ ગયા હતા, જ્યારે અંકુશ ઘરે જ હતો. બાદમાં નાના પુત્ર આયુષને અંકુશને બોલાવવા મોકલતા તે ઘરમાં જોવા મળ્યો ન હતો.
ત્યારબાદ પરિવારજનોએ ચંડાલ ચોકડી, મીઠા ફેક્ટરી વિસ્તાર, સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલ તેમજ આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. સાંજે પતિ ઘરે આવ્યા બાદ રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ગડખોલ, અંદાડા તથા સગા-સંબંધીઓ અને મિત્રોના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ અંકુશનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
ગુમ થયેલો અંકુશ શરીરે પાતળી બાંધણીનો છે. ઘરેથી નીકળ્યો ત્યારે તેણે લીલા તથા દુધીયા રંગની ટી-શર્ટ અને વાદળી રંગનું નાઇટ પેન્ટ પહેર્યું હતું. તેની ઊંચાઈ અંદાજે 3 થી 4 ફૂટ હોવાનું જણાવાયું છે. બાળક હિન્દી અને ગુજરાતી ભાષા જાણે છે.
પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે કે કોઈ અજાણ્યા ઇસમએ બાળકને લલચાવી-ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હોઈ શકે છે. ઘટનાને લઈને પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
