સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતિથૈયા ગામમાં ગેરકાયદેસર બાંધકામનો મોટો વિવાદ સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ગામની સીમમાં આવેલી રામદેવ રેસીડેન્સીમાં કાયદાના નિયમોને ખુલ્લેઆમ નેવે મૂકી બિનઅધિકૃત રીતે બાંધકામ ચાલી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.
સ્થાનિક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, રામદેવ રેસીડેન્સીના બ્લોક નંબર-25માં આવેલા પ્લોટ નંબર 31, 32 અને 33 પર જરૂરી NA તથા BU પરમિશન વિના જ ધડાધડ બાંધકામ ઉભું કરવામાં આવી રહ્યું છે. ટાઉન પ્લાનિંગના નિયમો, ગ્રામ્ય વિકાસના કાયદા અને વહીવટી પ્રક્રિયાની સરેઆમ અવગણના કરી રહેણાંક અને કમર્શિયલ હેતુસર બાંધકામ થઈ રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ ગેરકાયદેસર બાંધકામના કારણે ભવિષ્યમાં સમગ્ર વિસ્તારમાં પાણી, ડ્રેનેજ, રસ્તા અને પાર્કિંગ જેવી પ્રાથમિક સુવિધાઓ પર ગંભીર અસર પડશે. છતાંય સંબંધિત તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
ચોંકાવનારી બાબત એ છે કે સ્થાનિક ગ્રામ પંચાયત અને સુડા ભવનને અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિકોમાં ચર્ચા ઉઠી છે કે શું બાંધકામ કરનારાઓને તંત્રનું મૌન આશીર્વાદ મળ્યું છે?
સ્થાનિક લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે જો સામાન્ય નાગરિક નાનું શેડ પણ મંજૂરી વગર બનાવે તો તંત્ર તરત નોટિસ ફટકારી દે છે, પરંતુ અહીં ખુલ્લેઆમ ચાલી રહેલા મોટા પાયાના ગેરકાયદેસર બાંધકામ સામે કોઈ કાર્યવાહી ન થવી અનેક સવાલો ઊભા કરે છે.
હાલમાં સમગ્ર મામલે સુરત જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત વિભાગોમાં લેખિત ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવી ડિમોલિશનની કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન અને કાયદાકીય લડતનો માર્ગ અપનાવશે.
હવે જોવાનું એ રહ્યું કે સુરત જિલ્લાનું વહીવટી તંત્ર કાયદાનો અમલ કરાવવામાં ગંભીરતા દાખવે છે કે પછી ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ સામે પણ મૌન ધારણ કરે છે.
